• ગુરુવાર, 28 માર્ચ, 2024

ખારીરોહર પેટ્રોલ લાઇનમાં આગ મામલે અંતે અજાણ્યા શખ્સો સામે ફોજદારી

ગાંધીધામ, તા. 31 : તાલુકાના ખારીરોહરમાં આવેલ એચ.પી.સી.એલ. ટર્મિનલના ગેઇટ બહાર પાઇપ લાઇનમાં આગ લાગવાના પ્રકરણમાં અંતે પોલીસ મથકે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ખારીરોહરમાં નજીક આવેલ એચ.પી.સી.એલ. ટર્મિનલ બહાર ગત તા. 22/5ના રાત્રિના ભાગે આગનો બનાવ બન્યો હતો જે અંગે આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આગના બનાવ બાદ અગ્નિશમન દળોએ પાણી, ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવ બાદ ત્યાં લાગેલા સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજની તપાસ કરાતાં બનાવ વખતે ત્રણ શખ્સો નાસતા નજરે પડયા હતા. આ ત્રણ શખ્સોએ પાઇપ લાઇનમાં જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ હોવાનું જાણવા છતાં કોઇ પણ જાતના સુરક્ષાના સાધનો વગર પોતાનું અને અન્યોનું જીવન જોખમાય તે રીતે ચોરી કરવાના ઇરાદે લાઇનમાં કાણું કરી ચોરી કરવાની કોશિશ કરતાં લાઇનમાં અચાનક આગ લાગી હતી. રાષ્ટ્રીય સંપત્તિમાં નુકસાન પહોંચાડનારા આ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સિનિયર મેનેજર ઇન્સ્ટોલેશન યશવેન્દ્ર સિંઘ પ્રેમસિંઘે પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang