• સોમવાર, 12 મે, 2025

કુંજીસરના ચકચારી બે પોલીસકર્મીની હત્યા પ્રકરણે બે શખ્સ નિર્દોષ ઠર્યા

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના નવા કુંજીસર નજીક બાવીસ વર્ષ અગાઉ બે પોલીસકર્મીની હત્યા અને એક પોલીસકર્મી ઉપર જીવલેણ હુમલાના બનાવમાં રાજસ્થાનના બે ભાઇને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2003ની રાત્રે નવા કુંજીસર ગામના માર્ગ ઉપર દારૂ ભરેલી બોલેરોને રોકવા માટે ઊભેલા પોલીસકર્મીઓ ઉપર વાહન ચડાવી દેતા પોલીસકર્મી જયદેવદાન તથા પ્રેમગરનાં બનાવ સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે દેવરાજભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસકર્મી મનજી ડાભીએ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં બાડમેરના શૈતાનસિંહ રાઠોડને ગુનાહિત કાવતરું રચવાના માસ્ટર માઇન્ડ તરીકે ગણાવાયા હતા તેમજ ઉગારામ મેરારામ ભીલ, હિરસિંહ રાઠોડ, કલુભા મનુભા  જાડેજા, સામત ઉર્ફે આમુ કરમશી રબારી, મનોહરસિંહ ઉર્ફે મંગલસિંહ પદમસિંહ સોઢા, ગેલુભા હઠુભા જાડેજા, ચનુભા અંબાજી સોઢાની અટક કરવામાં આવી હતી. શરૂઆતમા આ કેસ ગાંધીધામ બાદ અંજાર અને અંતે ભચાઉ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસ ચાલતા સમય દરમ્યાન બે લોકોનું અવસાન થયું હતું. કેસમાં 20 જેટલા સાક્ષી તપાસવામાં આવ્યા હતા. શૈતાનસિંહ, હિરસિંહના જામીન બાદ તેમની સામે કરાયેલી ચાર્જશીટમાં તેમના વિરુદ્ધ ચાર્જ કરીને  તહોમત મુકી શકાય તેવો કોઇ પ્રથમ દર્શનીય પુરાવો ન હોવાની દલીલો તેમના ધારાશાત્રીએ 2007માં કરી હતી. ભચાઉ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ અંદલિપ તિવારીએ વિસ્તૃત કાયદાકીય છણાવટ, સુપ્રીમ કોર્ટના ચુકાદા, પોલીસે કરેલી તપાસના દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ બંને પક્ષની દલીલો બાદ શૈતાનસિંહ તથા હિરસિંહને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. જેતે સમયે ભારે ચકચારી રહેલા આ કેસના આરોપીઓના વકીલ તરીકે ધારાશાત્રી દિલીપકુમાર પી. જોશી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd