ભુજ, તા. 3 : આદિપુરના રહેવાસી મોહનભાઈ ગાવિંદભાઈ
મહેશ્વરીએ પ્રધાનમંત્રીને પત્ર લખી આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ
મળેલી નિ:શુલ્ક સારવાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, તેમના પિતા ગાવિંદભાઇ મહેશ્વરીને પીતાશયની તકલીફ
હોવાથી તબીબી સારવાર અને સર્જરીની જરૂર હતી. આયુષ્માન કાર્ડ દ્વારા આ સારવાર અને ઓપરેશન
ભુજની ખાનગી હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું. મોહનભાઈએ ભારત સરકારની આ યોજનાને
સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન ગણાવી હતી.પોતાના પત્રમાં તેમણે
જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો
માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની છે. કેન્દ્ર સરકારની આ આરોગ્ય યોજના દેશના કરોડો
નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડીને સર્વસમાવેશી વિકાસના ધ્યેયને સાકાર કરી રહી છે.