દેશ અને દુનિયામાં આરોગ્ય સારવાર જેમ-જેમ આધુનિક બની રહી છે, તેમ-તેમ તે મોંઘી બની રહી છે. ભારત જેવા વિશાળ
દેશમાં જ્યાં નબળા અને ગરીબ વર્ગોની સંખ્યા સતત વધી રહી છે, તેમની
માટે આરોગ્ય સારવાર અને તેને સલંગ્ન દવાઓ પહોંચની બહાર થઈ ગઈ છે. સારવારમાં આજે સૌથી મોટો હિસ્સો દવાઓના ખર્ચનો રહે
છે અને તેની કિંમતો સામાન્ય વર્ગને પોષાય તેમ ન હોવાને લીધે દેશના આરોગ્ય માળખાં પર
મોટો સવાલ ખડો થઈ રહ્યો છે. દવા કંપનીઓની બેફામ
નફાખોરીને નાથવાનો કોઈ ઉપાય કરાતો જણાયો નથી, પણ સરકારે વિકલ્પમાં
સસ્તી જેનેરિક દવાઓને ઉત્તેજન આપવાના પગલાં
જરૂરથી લીધાં છે, પણ વસતી અને માંગને ધ્યાને લેતાં જેનેરિક દવાઓના
પુરવઠાને વધારવાના પ્રયાસ હજી સફળ થતા જણાતા નથી. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે આ મામલે
સુનાવણી હાથ ધરીને કહ્યંy કે, તબીબો માત્ર જેનેરિક દવાઓ લખે તો દવા કંપનીઓ
અને ડોક્ટરો વચ્ચેના ભ્રષ્ટાચારથી ઊભી થઈ રહેલી ભાવોની સમસ્યાને રોકી શકાય તેમ છે. સૌ કોઈ જાણે છે કે, દવા કંપનીઓના
વિવિધ દબાણ તળે તબીબો દર્દીઓને મોંઘી દવાઓ લખી આપે છે. વાસ્તવિકતા એ છે કે, આવી મોંઘી
દવાઓના રસાયણિક મિશ્રણ ધરાવતી સમાન અસર કરતી જેનેરિક દવાઓની કિંમત ઘણી ઓછી હોઈ શકે છે. હકીકત દર્દીઓને જરૂરતથી વધુ દવાઓ લખવાના બદલામાં
દવા કંપનીઓ તબીબોને સંખ્યાબંધ લાભ અને સુવિધાઓ આપે છે. અમુક કિસ્સામાં કંપનીઓ તબીબોને રોકડ લાભ પણ આપતી
હોય છે. આ રીતે તબીબો પર દબાણ વધે છે કે, તેઓ ચોક્કસ બ્રાન્ડની
કે કંપની દ્વારા ઉત્પાદિત દવાઓ દર્દીઓને લખી આપે.
ખરેખર તો આરોગ્ય સારવાર ક્ષેત્રે સતત વધી રહેલા ભ્રષ્ટાચારને લીધે દર્દીઓનો
ખાસ તો ગરીબ દર્દીઓની હાલત ભારે કફોડી બનતી જાય છે. આ સડાને રોકવા માટે વિવિધ સરકારો પગલાં લેવાની જાહેરતો
કરતી રહે છે, પણ કમનસીબે કોઈ નક્કર પરિણામ સામે આવતું નથી. દવા કંપનીઓ જે રીતે અયોગ્ય રીતે તબીબોની
વાટે બેફામ નફાખોરી કરે છે, તેમની સામે કડક કાર્યવાહીની વાતો
માત્ર થાય છે. સરકારે આવી મોટી અને નામાંકિત
કંપનીઓની સામે કડક કાર્યવાહી કરતાં ખચકાતી હોવાની છાપને દૂર કરવા મોંઘી દવાઓને જેવી
ગુણવત્તા અને અસર ધરાવતી જેનેરિક દવાઓના ઉત્પાદન અને વેચાણની વ્યવસ્થાને મજબૂત કરવા
માટે પગલાં લેવા શરૂ કરવા જોઈએ. આમ થશે તો બજારમાં સસ્તી અને કિફાયતી દવાઓ ઉપલબ્ધ થશે
અને માંગ ઓછી થવાથી નામાંકિત કંપનીઓને તેમના ઉત્પાદનોના ભાવો ઘટાડવાની ફરજ પડશે.