ભુજ, તા. 29 : નવા બનેલા નાગોર ઓવરબ્રિજ નીચે આવેલા રેલવે ફાટક
પાસેના રસ્તાને ડામરથી મઢવાની કામગીરી તંત્ર દ્વારા હાથ નહીં ધરાતાં અત્યારે આ
માર્ગથી નીકળતા વાહનચાલકોને નાકે દમ આવી રહ્યો છે. સુરલભિટ્ટ ચાર રસ્તાથી નાગોર
તરફથી આવતા-જતા લોકો રસ્તામાં પડેલા ખાડાથી પરેશાન થઈ રહ્યા છે. હબાય ગામના અગ્રણી
નંદલાલ કેરાસિયાએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, નાગોર
ઓવરબ્રિજ બની ગયો તેને લાંબો સમય થયો, પણ તેના નીચે નાગોર
તરફ જતા ગ્રામ્ય વિસ્તારના લોકો મુખ્ય માર્ગે પડેલા ખાડાથી વાહનોને થતી ક્ષતિઓને
કારણે હેરાન થઈ રહ્યા છે. એક બાજુ જ્યારે ફાટક બંધ હોય ત્યારે નાછૂટકે ગાડીઓને
ખાડામાં ઊભી રાખવી પડે છે. કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બની જતો હોય તો નીચેના માર્ગને
ડામરથી મઢવા તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે ? તેવો પ્રશ્ન
અહીંથી પસાર થતા લોકો પૂછી રહ્યા છે. જીઆઈડીસીમાં અંદર આવવા-જવા માટે સુરલભિટ્ટ
ચાર રસ્તા પાસેથી પસાર થવાનું છે કારણ કે, જીઆઈડીસી પ્રવેશ
પાસે સામેના માર્ગે તંત્ર દ્વારા પથ્થરની આડશો મૂકી દેવાઈ છે ત્યારે આ રસ્તાને
તાત્કાલિક ડામરથી મઢવા લોકો માગણી કરી રહ્યા છે.