• શુક્રવાર, 26 જૂન, 2026

સુધરે એ પાકિસ્તાન નહીં; રાફેલ જૂઠાણાનો પર્દાફાશ

પૂનમની રાતે આકાશમાં ઝબૂકતા આગિયાને એમ જ હોય કે, ચોમેર પ્રસરાયેલો ઉજાશ તેના લીધે છે. પોતાને ચંદ્રમા કરતાંય પ્રકાશમાન માનવા લાગે... પાકિસ્તાનનું એવું જ છે. ભારતના વિસ્તરતા પ્રભાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતાઓમાં સ્વીકૃતિ, મંદીના માહોલમાંય પ્રમાણમાં ઠીક ઠીક આર્થિક પ્રગતિ એ બધી વાસ્તવિકતા છતાંય પોતાને ખૂબ આગળ પડતો દેશ માનવા લાગ્યો છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન ગણતરીના કલાકોમાં આપણા વાયુદળે ખોખરું કરી નાખ્યું. તેના હવાઇ અડ્ડા અને મિસાઇલોનો એવો સોથ વાળી દીધો કે, સફેદ ઝંડો ફરકાવીને ભારત સામે યુદ્ધવિરામની આજીજી કરવા લાગ્યું હતું. આટલું થયા પછી  પણ ટંગડી ઊંચી રાખવાની બદઆદત ભૂલતું નથી. ભારતના રાફેલ સહિત ત્રણ વિમાન તોડી પાડવાના તેના જૂઠાણાને અમેરિકાના તરંગી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવા દીધી હતી, પરંતુ એ બધા ખોટા દાવા પોકળ સાબિત થયા છે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં એક રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) જારી કર્યો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ઇન્ડિયન એરફોર્સના કાફલામાં સામેલ બધા 36 રાફેલ સહી સલામત છે અને ગમે ત્યારે શત્રુ પર ત્રાટકવા સક્ષમ છે. વાયુસેનાએ 36 રાફેલ યુદ્ધ વિમાનોના રખરખાવ અને ટેકનિકલ સહાયતા માટે ફ્રાન્સના ઉત્પાદકો સમક્ષ માગણી કરી એ પછી પ્રશ્ન એ ઊઠે છે કે, પાકિસ્તાન તેના સરાસર જૂઠાણા મુજબ ભારતના રાફેલ તોડી  પાડયાનો દાવો કરતું હોય તો ભારતમાં તમામ 36 વિમાન સુરક્ષિત ક્યાંથી આવ્યાં ? 2016માં રાફેલની સંખ્યા 36 હતી અને આજે પણ એટલી જ છે. વાયુસેનાએ જે આરએફપી જાહેર કરી તેમાં 36 રાફેલની સંખ્યા સાથે વધુ 114 રાફેલ ખરીદવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમાં મળતી માહિતી મુજબ 22 જેટલા લડાકુ વિમાન સીધા ફ્રાન્સથી તૈયાર થઈને આવશે. મતલબ કે, રેડી ટુ ફ્લાય હશે, જ્યારે બાકીના 92 વિમાન આપણા દેશમાં જ નિર્માણ પામશે. આ માટે એર ચીફ માર્શલ ફ્રાન્સ જવાના છે અને તે પછી વડાપ્રધાન મોદીની ફ્રાન્સયાત્રા દરમ્યાન બન્ને સરકાર વચ્ચે કરાર પર સહી-સિક્કા થશે એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને રશિયાએ પોતાન એફ 35 અને એસયુ 57 જેવાં પાંચમી પેઢીનાં વિમાન આપવાની દરખાસ્ત કરી છે, પણ ભારતે રાફેલ પર પસંદગી ઉતારી છે. હકીકતમાં પાકિસ્તાન ભ્રમની દુનિયામાં જીવે છે. દેશની આર્થિક સ્થિતિ કંગાળ થઇ ચૂકી છે. લોકો પાસે રોજગારી નથી. ગામડાંમાં બદતર હાલત છે. મોંઘવારી આસમાને છે. ગૃહ મોરચે સ્થિતિ સુધારવા પર ધ્યાન દેવાને બદલે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને લશ્કરી વડા મુનીર ટ્રમ્પની ચાપલૂસીમાં રચ્યાપચ્યા રહે છે. તાજેતરમાં જીનિવા ખાતે ઇરાન-અમેરિકાની શાંતિ મંત્રણા વખતે સામેથી પહોંચી ગયેલા આ બંનેને અવહેલનાનો કડવો ઘૂંટ પીવો પડયો હતો.  ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતના હાથે ખોખરાં થઇ ગયેલાં પાકિસ્તાને જનતાને ભ્રમજાળમાં રાખવા ભ્રામક દાવા કર્યા હતા. ભારતનું રાફેલ તોડી પાડવાનુંય જૂઠાણું તેમાં સામેલ હતું. તેમણે સંખ્યા આપી છતાં વાયુસેનાએ પરિપકવતા સાથે કોઇ વિશેષ જવાબ આપ્યો નહોતો. ભારતનું સ્પષ્ટ માનવું છે કે, સત્ય છૂપું રહી શકવાનું નથી. દરમ્યાન પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં જનતાના વિદ્રોહનો સામનો કરી રહ્યું છે. પાક સંરક્ષણ મંત્રીએ આમાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવીને યુદ્ધની હાસ્યાસ્પદ ધમકી આપી છે. પાકે ધરતી પર પગ રાખીને વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઇએ કે, એ કોઇ મોરચે ભારતની નજીક પહોંચી શકે તેમ નથી. યોગ્ય એ રહેશે કે, એ દેશની જનતાનું હિત વિચારે. 

Panchang

dd