ભુજ, તા. 22 : અહીંનાં રામેશ્વર મહાદેવ મંદિર
મધ્યે કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના જિલ્લા કારોબારીનું આયોજન કરવામાં
આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓની
ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ દ્વારા આગામી સમયમાં
યોજવારા વિવિધ કાર્યક્રમો તેમજ તમામ તાલુકાઓમાં જિલ્લાના કારોબારી સભ્યો દ્વારા તાલુકા
કક્ષાએ જિલ્લાના સમન્વય સાથે શિવ પંચવત્ર પૂજન, ભસ્મોદ્ધૂલન પ્રયોગ
શિબિર, મહાલય શ્રાદ્ધ શિબિર, ત્રાપિંડી
શ્રાદ્ધ શિબિર જેવા વિવિધ કાર્યક્રમો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લા
મંડળ દ્વારા આગામી સમયમાં ભાગવત કથાનાં આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. કચ્છનાં
વિવિધ તીર્થક્ષેત્રોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરી સનાતન સંસ્કૃતિનું સંવર્ધન
થાય તે મુજબના કાર્યક્રમો યોજવા સૂચન કરાયું હતું. સનાતન સંસ્કૃતિના વ્રતો અને તહેવારોની
ઉજવણી બાબતે એક સૂત્રતા જળવાઈ રહે, તે માટે સનાતન સંસ્કૃતિના
વિવિધ સમાજના આગેવાનો મંદિરો અને તીર્થક્ષેત્રોનાં સંકલનમાં રહી સમગ્ર કચ્છ પ્રાંતમાં
વ્રતો અને તહેવારોની ઉજવણીમાં શાસ્ત્રીયમત મુજબ એકસૂત્રતા જળવાય તે બાબતે ચર્ચા કરવામાં
આવી હતી. જિલ્લા મંડળના ખાલી પદોની પૂર્તિ બાબતે તેમજ વિવિધ તાલુકા કક્ષાએ બે કે તેથી
વધુ વર્ષ માટે વધુ વર્ષથી સેવા આપતા પ્રમુખોનું સન્માન કરી જિલ્લા મંડળમાં સ્થાન આપવા
અને તાલુકા કક્ષાએ નવા પ્રમુખની નિયુક્તિ કરવા સહિતના નિર્ણય લેવાયા હતા. જિલ્લા પ્રમુખ
દિપેશભાઈ ત્રિપાઠીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા
કોરકમિટી સભ્ય વિશ્વનાથભાઈ જોશી, મહામંત્રી ડો. જીતેનભાઈ જોશી,
ઉપપ્રમુખ હિરેનભાઈ જોશી, ખજાનચી ભાવિકભાઈ રાવલ,
સહમંત્રી હર્ષદભાઈ રાવલ, સંગઠન મંત્રી અજીતભાઈ
જોશી, મિતેશભાઇ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.