ગાંધીધામ, તા. 5 : સામખિયાળી ભચાઉ ખાતે ચાર લાઈનના
કામ માટે રેલવે દ્વારા 12 દિવસનો બ્લોક
લેવાતાં કચ્છની લાંબા અંતરની અને અમદાવાદ, મુંબઈ જતી મહત્તમ ટ્રેનોને સંપૂર્ણ રદ અને આંશિક
રદ કરાઈ હતી. હવે આજથી તમામ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઈ જતા પ્રવાસી વર્ગે રાહતનો
દમ લીધો હતો. નોન ઈન્ટરલોકિંગના કામના કારણે 12 દિવસનો બ્લોક લેવાયો હતો. જેના
કારણે મહત્તમ દિવસના ચાલતી ટ્રેનો પૈકી 16 ટ્રેનો રદ કરાઈ હતી, જ્યારે 16 ટ્રેનને આંશિક
ટૂંકાવાઈ હતી. જે ભુજ સુધી આવી જ ન હતી. ભુજ-અમદાવાદ
વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનને ધ્રાંગધ્રા સુધી દોડાવાઈ હતી, જેના કારણે વિદ્યાર્થી સહિતના પ્રવાસીઓ ભારે
મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત સાપ્તાહિક ટ્રેનો સંપૂર્ણ રદ કરાઈ હતી તેમજ દિલ્હીની
ટ્રેનો ભીલડી ખાતે ટૂંકાવી દેવાઈ હતી, જ્યારે મુંબઈની એસી એક્સપ્રેસ,
મધ્યપ્રદેશની ટ્રેન, દક્ષિણ ભારતની ટ્રેનો અમદાવાદ
ટૂંકાવાઈ હતી. સામખિયાળી, ભચાઉ વચ્ચે ઓટોમેટીક સિગ્નલિંગ અને
ત્રીજી-ચોથી લાઈનના જોડાણનું કાર્ય પૂરું થયું છે. બે દિવસ સેફટી પરીક્ષણ પણ હાથ ધરાયું
છે. આજથી તમામ ટ્રેનો કચ્છ સુધી આવી હતી. જેના કારણે પ્રવાસીઓની હાલાકીનો અંત આવ્યો હતો. ચાર લાઈન કાર્યરત
થતાં પ્રવાસીઓને ઝડપી રેલવે સુવિધા ઉપલબ્ધ થશે.