નવી દિલ્હી, તા. 5 : બે દાયકા
સુધી બાંગલાદેશમાં સત્તા પર રહ્યા પછી ભારત આવી ગયેલાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ
બુધવારે બે વર્ષ બાદ લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. હસીનાએ 25 મિનિટનાં ભાષણમાં કહ્યું હતું
કે, મને જેલમાં મોકલી શકે છે, મારી પણ શકે છે, તે જાણું છું, છતાં પણ હું ડિસેમ્બરમાં બાંગલાદેશ પરત જઇશ. મોતની સજા, ખોટા કેસ મને ડરાવી નહીં શકે. મારા વિરુદ્ધ ચાલતી કાનૂની કાર્યવાહી ગેરકાનૂની,
ગેરબંધારણીય, રાજકારણ પ્રેરિત છે, તેવું તેમણે કહ્યું હતું. ભાષણ દરમ્યાન કેમેરો બંધ રખાયો હતો. સુરક્ષાના કારણે
હસીનાએ ચહેરો બતાવ્યો નહોતો. કેમેરાની સામે આવવાથી હસીના કયાં સ્થળે છે તેની ખબર પડી
જાય, તો તેમના માટે જોખમ થઇ શકતું હતું. હસીના બોલ્યાં હતાં કે,
મેં મારી ઇચ્છાથી બાંગલાદેશ છોડયું નહોતું. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન
આવાસ તરફ આગળ વધતાં ત્યાંથી નીકળવા માટે માત્ર 30-40 મિનિટનો સમય હતો. હું મારા
પૈતૃક ગામ તુંગીપાડા જવાની તૈયારી કરી રહી હતી, પરંતુ પરિસ્થિતિ જ એવી સર્જાઇ હતી કે, દેશ છોડવો પડયો,
તેવું તેમણે કહ્યું હતું. પૂર્વ વડાપ્રધાને ભારતને બાંગલાદેશનો મિત્ર
દેશ લેખાવતાં કહ્યું હતું કે, 1971 હોય કે આજનો સમય, ભારત મુશ્કેલીમાં હંમેશાં સાથ આપે છે. આવામી લીગના નેતાઓની હત્યાઓ થઇ રહી છે,
તેવું પણ તેમણે કહ્યું હતું.