ભુજ, તા. 30 : કચ્છમાં ચૈત્ર બાદ વૈશાખના
આરંભે પણ અંગારા ઓકતી ગરમી યથાવત રહેતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠયું છે. અંજાર-ગાંધીધામમાં
મહત્તમ પારો ઊંચકાઈને 4પ.4 ડિગ્રીએ પહોંચતાં આ વિસ્તાર રાજ્યમાં સૌથી
વધુ શેકાયો હતો. કાળઝાળ કરી મૂકતી અગનવર્ષા વચ્ચે ત્રીજી મેથી રાજ્યની સાથે કચ્છમાં
કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હજુ એક દિવસ ગરમીના આકરા મોજાની
ચેતવણી યથાવત રાખવા સાથે બીજી મે સુધી મહત્તમ પારો 40થી 4પ ડિગ્રી
વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. એક ડિગ્રીના વધારા સાથે અંજાર-ગાંધીધામમાં
મહત્તમ પારો આ મહિનામાં સાતમી વખત 4પ ડિગ્રીના આંકને પાર થઈ 4પ.4 ડિગ્રીએ પહોંચ્યો
હતો. ઊંચકાયેલાં તાપમાન સાથે રાજકોટને પછાડી કંડલા એરપોર્ટે રાજ્યનાં ગરમ મથકોમાં સર્વોચ્ચ
સ્થાન મેળવ્યું હતું. અગનવર્ષાની અસર તળે જનજીવન પ્રભાવિત થયું હોય તેમ રસ્તા પર સન્નાટો
છવાયેલો જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ એક ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો
42.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગનવર્ષા
સાથે પ્રતિ કલાક 12થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા લૂની
આણ વરસાવી હતી. દરમિયાન હવામાન વિભાગે હજુ બે દિવસ તાપમાન ઊંચું રહ્યા બાદ પારો ક્રમશ:
નીચે ઊતરશે, તો ત્રીજી મેથી વાતાવરણમાં
પલટો જોવા મળી શકે છે. ત્રીજીથી છઠ્ઠી મે દરમિયાન કચ્છમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાનો
વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલાં સર્ક્યુલેશનની અસર
તળે વાતાવરણમાં પલટો આવી શકે છે.