અંજાર, તા. 10 : શહેરના યોગેશ્વર ચોકડી પાસે ભારે વાહનોની અવરજવર કારણે કિશોરીનાં
મૃત્યુ બાદ નાગરિકોમાં ભારે રોષ ભભૂક્યો છે.
ગઈકાલે ઉગ્ર દેખાવ બાદ પણ આજે પણ સ્થાનિકોએ ભારે વાહનની અવરજવર સદંતર બંધ કરવાની
માંગ સાથે અંજાર પોલીસતંત્રને રજૂઆત કરી હતી. ગઈકાલના અકસ્માતમાં માનવ જિંદગી
હોમાઈ ગયા બાદ પણ આજે સવારથી ભારે વાહનોની
અવરજવર થતાં સ્થાનિકોનું લોહી ઊકળ્યું હતું. યોગેશ્વર ચાર રસ્તા પાસે આજુબાજુમાં રહેતા
લોકો અને જાગૃત નાગરિકોએ પુન: મોરચો સંભાળ્યો
હતો. પોલીસતંત્રની કામગીરીથી નારાજ થયેલા લોકો આજે અંજાર પોલીસ મથકે દોડી આવ્યા હતા
અને બનાવને કમનસીબ ગણાવ્યો હતો. નાગરિકોએ અંજાર પી.આઈ. શ્રી ગોહિલને રજૂઆત કરતાં જણાવ્યું
હતું કે, યોગેશ્વર ચોકડી પાસે ભારે વાહનોની અવરજવર સદંતર બંધ કરવા રજૂઆત કરાઈ હતી. દરમ્યાન,
એક વરિષ્ઠ નાગરિકે કહ્યું હતું કે, ભારે વાહનોનાં
ટાયરો થોડાં વધુ કિલોમીટર ફરે તો ચાલશે, પરંતુ
આ ટાયરો લોકો ઉપરથી ન ફરવાં જોઈએ. પ્રત્યુત્તરમાં પી.આઈ. શ્રી ગોહિલે જાહેરનામામાં
વિસંગતતા હોવાનું કહ્યું હતું તેમજ આ માર્ગના
વિકલ્પ શોધવાનું ચાલી રહ્યું છે, તેમણે પોતાની
કક્ષાએ યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી.