નવી દિલ્હી, તા. 20 : પાકિસ્તાન
બાદ હવે બાંગલાદેશને પણ પાણીનો મુદ્દો ભારે પડી શકે છે. ચાલુ વર્ષના અંતમાં પૂરી થઈ
રહેલી ફરક્કા જળ સંધિને ભારત પોતાનાં હિતને ધ્યાનમાં રાખીને આગળ વધારી શકે છે. જેનાથી
પાડોસીને પરેશાની થવાની સંભાવના છે. હકીકતમાં ભારતની નીતિ પાડોસીઓ સાથે સમન્વયની રહી
છે પણ ઘણા દેશોની રાજનીતિએ વારંવાર પરેશાની ઉભી કરી છે. જેનાથી ઘણા મુદ્દે ટકરાવની
સ્થિતિ પેદા થઈ છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી
હતી. બાદથી પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે આજીજી કરી રહ્યું છે. હવે બાંગલાદેશનું
વલણ પણ ભારત પ્રત્યે રક્ષાત્મક અને નકારાત્મક બની ગયું છે. જેનું કારણ ફરક્કા જળ સંધિ
છે. ગંગા ઉપર ભારત અને બાંગલાદેશ વચ્ચે આ સંધિ છે. જેમાં 1996માં હસ્તાક્ષર થયા હતા. આ સંધિ
2026માં પૂરી થઈ રહી છે. હવે ભારત
ઉપર નિર્ભર છે કે સંધિ કેવી રીતે આગળ વધારવામાં આવે. આ સંધિનો બિહારમાં વિરોધ પણ થઈ
રહ્યો છે. બિહાર સરકાર
અને ભાજપ સહયોગી જેડીયુનો તર્ક છે કે ફરક્કાનાં કારણે ગંગામાં કાંપ જમા થયો છે. જેનાથી
નદીનું સ્તર ઉપર આવ્યું છે. આ કારણે બિહારમાં પૂરનું જોખમ રહે છે. ગરમીઓમાં જળસ્તર
ઘટનાં પાણીની કમીનો સામનો કરવો પડે છે. સંસદનાં ચોમાસું સત્રમાં પણ આ મુદ્દો ઉઠયો હતો
ત્યારે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે સરકાર બિહારની જરૂરિયાતો અને ચિંતાઓને
ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે.