• રવિવાર, 12 જુલાઈ, 2026

ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર લાગુ કરશે

નવી દિલ્હી, તા. 11 : લગભગ ચાર દાયકા પછી કોઈ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ બન્ને દેશ માટે ફળદાયી, ઐતિહાસિક સાબિત થયો છે. ઓકલેન્ડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે મુલાકાત બાદ બે દેશ વચ્ચે કુલ 10 મોટા સમજૂતી કરાર અને આઠ મોટી ઘોષણા થઈ હતી. ઓકલેન્ડમાં શનિવારે બે દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને અંતિમ રૂપ અપાયું હતું. બન્ને દેશે દ્વિપક્ષીય સંબંધોને `રણનીતિક ભાગીદારી'નો દરજ્જો આપીને નવી ઊંચાઈએ લઈ જતાં 2030 સુધીમાં આપસી વેપાર સાત અબજ કિવી ડોલર એટલે કે લગભગ 35 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય જાહેર કર્યું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, વેપાર, કૃષિ, શિક્ષણ, રમત અને સંસ્કૃતિ જેવાં અનેક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. સૌથી મહત્ત્વના સમજૂતી કરાર સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષાના થયા હતા. બે દેશની સેના હવેથી સમુદ્રી સુરક્ષા, જાણકારીની આપ-લે અને સંયુક્ત અભ્યાસ કરશે. ન્યૂઝીલેન્ડે ભારતના ઈન્ડો પેસિફિક ઓસિયન્સ ઈનિશિયેટિવ્સ (આઈપીઓઆઈ)માં પણ સામેલ થવાનું એલાન કર્યું હતું. સમુદ્રી સુરક્ષા અને ઈન્ડો પેસિફિકમાં સહયોગ વધતાં ભારત અને ન્યૂઝીલેન્ડની ભાગીદારી વધુ મજબૂત થશે. ચીન આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, ત્યારે એક મજબૂત રણનીતિક સંતુલન બનાવવાની દિશામાં બન્ને દેશની આ સમજૂતી બેહદ મહત્ત્વની મનાય છે. ભારત અને ન્યૂઝીલેન્ડે આતંકવાદ વિરુદ્ધ એક સંયુક્ત કાર્યજૂથ બનાવવાનો પણ ફેંસલો કર્યો હતો. આતંકવાદ સાથે જોડાયેલી જાણકારીની આપ-લે કરીને સાથે મળીને રણનીતિ બનાવશે. આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સમજૂતી કરાર હેઠળ ભૂકંપ, સુનામી અને કુદરતી આફતો સામે લડવાના અનુભવ અને ટેકનિકની પણ આપ-લે બે દેશ વચ્ચે થશે. કૃષિ, ડેરી ક્ષેત્રમાં સહયોગ વધારી બન્ને દેશ નવી ટેકનિક, સંશોધનો અને શ્રેષ્ઠ ખેતીની પદ્ધતિઓ એકમકને આપશે. નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કિવીને બે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે. બન્ને દેશ વચ્ચે પર્યટનને વેગ આપવાની પણ સમજૂતી થઈ છે. રમત ક્ષેત્ર પણ ખેલાડીઓની તાલીમ, સ્પોર્ટસ, મેડિસીન પર સાથે કામ થશે.

Panchang

dd