અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુંબઇ અમદાવાદ બુલેટ
ટ્રેનનો પ્રોજેક્ટ બુલેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેમાં અમદાવાદની સાબરમતી નદી પર 12 માળની
બિલ્ડીંગ જેટલો ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે જે એન્જિનીયરીંગ કૌશલ્યનો નમૂનો
સાબિત થઇ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર
(આશરે 118 ફૂટ)
છે. આ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઈનની બિલકુલ બાજુમાં તૈયાર થઈ રહ્યો
છે. 480 મીટર
લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે
કુલ 8 વર્તુળાકાર
પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી
6.5 મીટર
છે. આ તમામ પિયર્સનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પુલ સાબરમતી સ્ટેશનથી 1 કિમી
અને અમદાવાદ સ્ટેશનથી 4 કિમીના અંતરે સ્થિત છે. ઉપરાંત આ પુલના
નિર્માણમાં અત્યાધુનિક 'બેલેન્સ્ડ કેન્ટિલીવર' પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિમાં પુલની નીચે કોઈ ટેકો કે
સ્કેફોલ્ડિગ લગાવ્યા વિના, પિયરની બંને બાજુએ સંતુલન જાળવીને
સેગમેન્ટ્સ જોડવામાં આવે છે. આ ટેકનોલોજી ઊંડા પાણી અને લાંબા સ્પાન ધરાવતા પુલો
માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.પુલના પાયા અને સબસ્ટ્રક્ચરનું તમામ કામ પૂર્ણ થઈ
ગયું છે. 76 મીટરના ત્રણ સ્પાન તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના સ્પાન અને સેગમેન્ટ કાસ્ટિગની કામગીરી અત્યારે યુદ્ધના
ધોરણે ચાલી રહી છે. બાંધકામ દરમિયાન સાબરમતી નદીના કુદરતી પ્રવાહમાં કોઈ અડચણ ન
આવે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. નદીના પટમાં હ્યુમ પાઈપ કલ્વર્ટ્સ અને
ડ્રેનેજ ચેનલ એવી રીતે ગોઠવવામાં આવી છે કે બાંધકામની પ્રવૃત્તિ છતાં પાણીનો
પ્રવાહ મુક્તપણે વહેતો રહે. આ પુલ તૈયાર થયા બાદ અમદાવાદની સ્કાયલાઈનમાં એક નવું
નજરાણું ઉમેરાશે અને બુલેટ ટ્રેન અહીંથી પસાર થતી વખતે મુસાફરોને સાબરમતી નદીનો
મનોહર નજારો જોવા મળશે.