મુંબઇ, તા. 13 : ભારતીય
કલાજગતનાં દંતકથા સમાન ગાયિકા આશા ભોંસલેને સોમવારે તેમના શોકમગ્ન પરિવાર, સિનેજગતના સિતારાઓ તેમજ
વિશાળ ચાહક સમુદાયે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. આશાનો પાર્થિવ દેહ
તિરંગામાં લપેટીને શિવાજી પાર્ક સ્મશાન ઘાટ પર લવાયો હતો. મહારાષ્ટ્ર પોલીસે ગાર્ડ
ઓફ ઓનર આપ્યું હતું. રાજકીય સન્માન સાથે દિગ્ગજ ગાયિકાના અંતિમસંસ્કાર કરાયા હતા.
પુત્ર આનંદે મુખાગ્નિ આપ્યો હતો. અંતિમસંસ્કાર થતાં જ આશજીની પૌત્રી જનાઇ ભારે
ભાવુક બનીને રડતી જોવા મળી હતી. અંતિમસંસ્કારથી પહેલાં શાન, અનુપ
જલોટા સહિત ગાયકોએ `અભી ના જાઓ છોડકર' ગીત ગાઇને મહાન ગાયિકાને
અંતિમ વિદાય આપી હતી. અગાઉ, મુંબઇ સ્થિત ઘર કાસા ગ્રાન્ડેમાં
આશાનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે સોમવારની સવારે રખાયો હતો. દિગ્ગજ ક્રિકેટર
સચિન તેંડુલકર પણ આશાનાં અંતિમ દર્શન કરતાં રડી પડયા હતા. બહેનો ઉષા, મીના પણ ભાવુક બની હતી.