નવી દિલ્હી, તા. ર1 : ભારત
સરકારે સંસદમાં ખુલાસો કર્યો છે કે 200થી વધુ ભારતીય નાગરિકો રશિયન
સેનામાં જોડાયા છે અને યુદ્ધમાં લડી રહ્યા છે. ર0રરથી અત્યાર સુધીમાં ર6ના
મૃત્યુ થયા છે. શુક્રવારે રાજ્યસભામાં સંસદ સભ્યો સાકેત ગોખલે અને રણદીપ સિંહ
સુરજેવાલાએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં વિદેશ મંત્રાલયે આ આંકડો આપ્યો હતો.
રશિયન સેનામાં ભારતીય નાગરિકોની મુક્તિ શીર્ષકવાળા નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું
હતું કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધની શરૂઆતથી 202 ભારતીય
નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં જોડાયા હોવાનું જાણવા મળે છે. સરકારના રાજદ્વારી
પ્રયાસોને કારણે આ નાગરિકોમાંથી 119 નાગરિકોને અકાળે રજા આપવામાં આવી
છે. યુદ્ધમાં 26 ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા છે અને રશિયન સરહદી વિસ્તારમાં
સાત ગુમ થયાના અહેવાલ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે રશિયન સેનામાંથી 50 ભારતીય
નાગરિકોને મુક્ત કરાવવા માટે અને 10 મૃતકોના મૃતદેહ મેળવવા માટે
પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન વિદેશ મંત્રાલયે ખાતરી આપી હતી કે ભારતીય
નાગરિકોની સલામતી, કલ્યાણ અને વહેલી મુક્તિ અંગે ભારત સરકાર રશિયન પક્ષ સાથે સંપર્કમાં છે.
મૃત અથવા ગુમ થયેલા 18 ભારતીયોના ડીએનએ નમૂના રશિયન
અધિકારીઓ સાથે શેર કરવામાં આવ્યા છે.