નવી દિલ્હી, તા. 19 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ વિશ્વ લિવર દિવસ પર લોકોને ખાવા-પીવામાં ધ્યાન રાખીને સ્વસ્થ જીવન જીવવાનું
આહ્વાન કર્યું હતું. તેલનો ઉપયોગ ઘટાડવા જેવાં નાના લાગતાં પગલાં મોટા બદલાવ લાવી શકે
છે, તેવું મોદીએ જણાવ્યું હતું. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ યુવાનોને સંદેશ આપતાં કહ્યું હતું
કે, બે કલાકની કસરત અને છ કલાકની ઊંઘ સ્વસ્થ સ્વાસ્થ્ય માટે જરૂરી
છે. દેશના યુવાનોએ હજુ 40-50 વર્ષ વધુ
જીવવાનું છે અને દેશની પ્રગતિમાં યોગદાન આપવાનું છે,
તેવું શાહે ઉમેર્યું હતું. ગૃહપ્રધાને દિલ્હીમાં વિશ્વ લિવર દિવસ નિમિત્તે
`ઈન્સ્ટિટયૂટ ઓફ લિવર એન્ડ બાઈલરી સાયંસિઝ' યોજિત સમારોહને સંબોધનમાં આવી સલાહો આપી હતી.
શરીર માટે કસરત અને મગજ માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તે જાત અનુભવથી કહું છું. છેલ્લા
પાંચ વર્ષમાં મારાં જીવનમાં મેં ઘણા બદલાવ કર્યા. જરૂરી પ્રમાણમાં પાણી, આહાર, ઊંઘ, નિયમિત કસરતે મને ઘણું
આપ્યું. કોઈ દવાની જરૂર નથી પડતી, તેવું શાહ બોલ્યા હતા. આ સમારોહમાં
દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના તેમજ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા
હતા.