હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 24 : ગુજરાત કેડરના 1987 બેચના આઈએએસ ઓફિસર રાજકુમાર
31મી, જાન્યુઆરી-2025ના વયનિવૃત્ત
થશે અને તેમના અનુગામી તરીકે હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય
સચિવ તરીકે કાર્યરત 1989 બેચના આઈએએસ
ઓફિસર પંકજ જોશીની રાજ્યના મુખ્ય સચિવ પદે નિમણૂક કરવામાં આવી છે. જો કે, તેઓ ઓક્ટોબર-2025માં વયનિવૃત્ત થવાના હોવાથી
તેમનો કાર્યકાળ માત્ર 9 મહિનાનો જ
રહેશે. હવે પંકજ જોશ પહેલી, ફેબ્રુઆરી-2025થી રાજ્યના મુખ્ય સચિવ પદે
સત્તારુઢ થશે, તેની સાથે જ મુખ્યમંત્રી
કાર્યાલયમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવની જગ્યા ખાલી પડશે અને કોઈ અન્ય અધિક મુખ્ય
સચિવ કક્ષાના આઈએએસ ઓફિસરની પંકજ જોશીની ખાલી પડેલી જગ્યાએ નિમણૂક કરવાની થશે. ગુજરાત
સરકાર માટે મોટી મુશ્કેલી એ છે કે, 2025ના વર્ષમાં 5 જેટલા સિનિયર આઈએએસ ઓફિસરો પણ વયનિવૃત્ત થવાના છે અને એટલે સરકારના
વહીવીટ તંત્રમાં સિનિયર અને અનુભવી સનદી ઓફિસરોની તીવ્ર તંગી અતિ-તીવ્ર બનશે તે નક્કી
છે. રાજ્ય વહીવટી તંત્રમાં આ ફેરફારની સાથે જ હવે,
રાજ્યના વહીવટી તંત્ર અર્થાત આઈએએસ ઓફિસરોની મોટાપાયે બદલીનો દોર ટૂંકમાં
જ થશે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, હાલના મુખ્ય સચિવ ગુજરાતમાં
1987 બેચના આખરી આઈએએસ ઓફિસર હતા.
હવે તેમની વયનિવૃત્તિ બાદ ગુજરાતમાં 1987 બેચ જ નહીં પણ 1988 બેચના પણ કોઈ આઈએએસ ઓફિસર બાકી રહ્યા નથી. કેમ કે, હવે મુખ્ય સચિવ પદે આરૂઢ થનારા પંકજ જોશી પણ
1989 બેચના સનદી ઓફિસર છે. હાલના મુખ્ય સચિવ રાજકુમારને તેમની સીધા-સરળ, શાંત સ્વભાવ અને સ્વચ્છ પ્રતિભાને કારણે એક્સટેન્શન
મળશે એમ મનાતું હતું અને છેલ્લે-છેલ્લે તો તેની ચર્ચા પણ ખૂબ જોરશોરથી ચાલી રહી હતી,
પરંતુ અહીં એક મોટી મુશ્કેલી એ હતી કે, નવનિયુક્ત
મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઓકટબર-2025 એટલે કે 9 માસ બાદ વયનિવૃત્ત
થવાના છે એટલે જો, રાજકુમારને
મુખ્ય સચિવ પદે 3 કે 6 માસનું એક્સટેન્શ અપાયું હોત તો પછી પંકજ
જોશી પાસે મુખ્ય સચિવ તરીકે માત્ર 6 કે 3 માસનો જ કાર્યકાળ
બાકી રહ્યું હોત, જે તેમના માટે
ઠીક મનાતું ન હતું. હાલને તબક્કે એમ મનાય છે કે, વયનિવૃત્ત થઈ
રહેલા મુખ્ય સચિવ રાજકુમાર તેમની સ્વચ્છ પ્રતિભાને કારણે મુખ્યમંત્રી ઉપરાંત વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની ગૂડબૂકમાં હોવાથી તેમને નવી દિલ્હી ખાતે ભારત સરકારમાં કે ગુજરાતમાં
કોઈ મોટી જગ્યાએ નિમણૂક અપાશે.