ઓસ્ટ્રેલિયાના પગલે ચાલી દક્ષિણ ભારતનાં બે રાજ્ય આંધ્રપ્રદેશ
અને કર્ણાટકે 13 વર્ષથી નીચેની વયનાં બાળકોના
સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. બંને રાજ્યની વિધાનસભામાં મુખ્ય
પ્રધાન અનુક્રમે એન. ચંદ્રાબાબુ નાયડુ અને સિદ્ધારમૈયાએ આ પ્રતિબંધની જાહેરાત ગયા અઠવાડિયે
કરી. કર્ણાટકમાં 16 વર્ષની વયથી
નીચેના અને આંધ્રમાં 13થી ઓછી ઉંમરનાં
બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર બેન મૂકવામાં આવ્યો છે. નાયડુ તો આ પ્રતિબંધ આગામી
90 દિવસની અંદર અમલમાં મૂકવા કટિબદ્ધ
છે. સરકારનો વિચાર સારો છે અને સોશિયલ મીડિયાની માદક પદાર્થ જેવી લત અને તેના કારણે
બાળકો-કિશોરોની થતી હાલત તથા ભવિષ્યની ચિંતાને પગલે લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે.
ભારત સરકાર પણ આ મોરચે છેલ્લા થોડા સમયથી ગંભીરતાથી વિચાર-ચર્ચા કરી રહી છે. વિશ્વના
અનેક દેશોમાં 16 વર્ષથી નીચેનાં બાળકોના સોશિયલ
મીડિયા ઉપયોગ પર બેન વિશે મનોમંથન ચાલી રહ્યાં છે. જો કે, દક્ષિણ ભારતનાં બે રાજ્યે પ્રતિબંધનો વિચાર
તો વહેતો મૂક્યો છે, પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના જવાબ સરકારો આપી શકી નથી. સૌથી પહેલાં તો આ પ્રતિબંધનો અમલ કેવી રીતે
થશે? એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. ન તો બેમાંથી એક પણ રાજ્યએ આના
માટે કોઈ કાયદો ઘડયો છે કે ન તો પ્રતિબંધના અમલીકરણ માટે કોઈ વ્યવસ્થાતંત્રની રચના
કરાઈ છે અને આ બેન કામ કેવી રીતે કરશે એ વિશે કોઈ રોડમેપ પણ જાહેર કરાયો નથી. આ બધાથી
મોટો પડકાર એ બંધારણીય છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સાતમા અનુચ્છેદમાં આવે છે,
આથી તે કેન્દ્ર સરકાર-સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે, રાજ્યોની વિધાનસભાના દાયરામાં નહીં. ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળ વિવિધ સોશિયલ મીડિયા મંચ
માટે બાળકોના ડેટા મેળવવા કે તેના પર પ્રોસાસિંગ કરવા માટે ચકાસી શકાય એ પ્રકારે વાલીઓની
પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું છે. આથી, રાજ્યસ્તરે કાયદો ઘડવામાં આવે તો પણ કેન્દ્રીય કાયદાકીય માળખાં સાથે તે સીધા
સંઘર્ષમાં હશે. ટેક્નોલોજી સંબંધી પડકારોનો તો આખો એવરેસ્ટ છે, જેમાં સૌથી મહત્ત્વનો અંતરાય છે, વયની ચકાસણી કેવી રીતે
કરવી એનો. વળી, ટેક્નોલોજી સાથે હંમેશાં પાછલું બારણું આવતું
હોય છે અને આવી નબળી કડી શોધી કાઢી કાયદાને ચાતરી જવામાં આમ પણ માનવ મગજ બહુ ઝડપથી
ચાલતું હોવાનું વારંવાર પુરવાર થયું છે. આશય સારો હોવા છતાં વાસ્તવિક મુશ્કેલીઓ જોતાં
રાજ્યો આ દિશામાં ખાસ પ્રગતિ કરી નહીં શકે. હા, કેન્દ્ર સરકાર
આ દિશામાં આગળ વધે તો કેટલીક મર્યાદાઓનો અંત આવશે, પણ એ પછી નવા
પડકારો ઊભા થશે.