ગાંધીધામ, તા. 6 : અંજાર પોલીસે એક મકાનમાં છાપો
મારી ત્રણ શખ્સને પકડી પાડી તેમની પાસેથી વીજ વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ શખ્સોએ
જુદી-જુદી જગ્યાએથી હાથ માર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેયનો મુખ્ય સાગરીત
હજુ હાથમાં આવ્યો નથી. અંજારના મફતનગર વિસ્તારમાં પોલીસે એક મકાનમાં કાર્યવાહી કરી
હતી. અહીં ત્રણ શખ્સ વીજ વાયરના કટકા કરતા જણાયા હતા. તેમની પાસેથી આ વીજ વાયરના આધાર
પુરાવા મગાતાં તે આપી શકયા નહોતા. દરમ્યાન આ પ્રકાશ બાલા કોળી, સંજય ગાંડુ સથવારા (દેવીપૂજક) તથા નાગજી લક્ષ્મણ
શેખાણી (કોળી)ની વધુ પૂછપરછ કરાતાં ત્રણેયએ રામજી નાથબાવાની બોલેરો ગાડી લઇ અને ચોરી
કરવા જતાં અને આ રામજી વીજ વાયર બારોબાર વેચી મારતો તથા આ ત્રણેયને તેમની ભાગીદારી
આપતો હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સોએ ભચાઉ-ભુજ રોડ પર કુંજીસર નામની સીમમાં કંપનીમાંથી
વાયર ચોરી, સામખિયાળી બાજુની કંપનીમાંથી પિત્તળના બોલ,
મુંદરા-વાંકી બાજુ લોખંડના એંગલ, ભંગાર,
પાવરહાઉસમાંથી પિત્તળના વાલ્વ, એલ્યુમિનિયમના બંડલની
ચોરી વિગેરે બનાવોને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા મુખ્ય સૂત્રધાર
રામજી નાથબાવાને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.