રવાપર, તા. 6 : કચ્છમાં વાયરલ ફીવરના સતત વધતા
વ્યાપ વચ્ચે નખત્રાણા તાલુકાના રવાપર ગામે સિઝનલ ફલૂનો શંકાસ્પદ કેસ દેખાતાં આરોગ્ય
વિભાગે આગોતરા તકેદારીનાં પગલાં ભર્યાં છે. આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર-1 હેઠળની હનુમાન મંદિર શેરી વિસ્તારમાં આવેલી
ખાનગી હોસ્પિટલમાં સિઝનલ ફલૂનો આ શંકાસ્પદ કેસ જોવા મળતાં સબંધિત દર્દીના સેમ્પલ લઇ
વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોલકવામાં આવ્યા છે. શંકાસ્પદ કેસ દેખાતાં આરોગ્ય વિભાગે
એકશન ટેકન કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેનું કાર્ય હાથ ધર્યું
હતું. પ્રવર્તમાન સિઝનમાં વાહકજન્ય રોગો વધુ ન ફેલાય એ માટે દવા છંટકાવ, મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા સહિતનું કાર્ય
હાથ ધરવા સાથે લોકોને સૂચનાની આપ-લે કરાઇ હતી. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે
કહ્યું કે, સિઝનલ ફલૂના કિસ્સામાં ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર
સેમ્પલ લેવાની સાથે તકેદારીનાં પગલાં ભરવામાં આવે છે. રવાપર ખાતે હાથ ધરાયેલી કામગીરીમાં
સુલેમાન પિંજારા, સૌરભ રાઠોડ, મોંઘીબેન
ગોવિંદ સહિતનો સ્ટાફ જોડાયો હતો.