તેહરાન, તા. 6 : શાંતિ સમજૂતીની શુભ શક્યતાઓ
અત્યારે તો પાટા પરથી ઊતરી પડી છે અને માણસાઈના દુશ્મન જેવાં કાળમુખાં યુદ્ધે ફરી પશ્ચિમ
એશિયામાં તાણ વધારી છે. અમેરિકી આક્રમણના વળતા જવાબમાં ઈરાને અમેરિકી નૌકાદળનાં યુદ્ધ
જહાજો પર હુમલા કર્યા હતા. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડકોર્પ્સના એરોસ્પેસ ફોર્સના
જણાવ્યાનુસાર ઈરાને અમેરિકાના વિમાન વાહન અને એક ડિસ્ટ્રોયર પર મિસાઈલ હુમલા કર્યા
છે. આઈઆરજીસીએ આરોપ મૂકયો હતો કે, અમેરિકી
યુદ્ધ જહાજો ઈરાની જહાજોને પરેશાન કરી રહ્યાં હતાં અને ઈરાન વિરોધી નાકાબંદીના ભાગ
હતા. મિસાઈલ હુમલા બાદ બન્ને અમેરિકી યુદ્ધ જહાજ સંઘર્ષ ક્ષેત્રથી પીછેહઠ કરવા મજબૂર
થયા હતા. ઈરાની સેનાએ જહાજોને નુકસાન કર્યાનો દાવો કર્યો હતો. ઈરાનની સેનાએ હોર્મુઝમાં
મોજૂદ અન્ય જહાજોને પણ પ્રતિબંધિત કે અનધિકૃત સમુદ્રી માર્ગ પરથી પસાર થવાની કોશિશ
નહીં કરવાની ચેતવણી આપી હતી. અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા ત્રણ તેલ ટેન્કરો પર કરેલા
હુમલાના જવાબમાં ઈરાને વળતા હુમલા કર્યા હતા. બીજી તરફ અમેરિકા સંરક્ષણ મંત્રી પીટ
હેગસેથે ઈરાનને સીધી ચેતવણી આપી હતી કે, ઈરાન અમેરિકી જહાજો પર
હુમલા કરશે તો તેના તેલ ટેન્કરને નષ્ટ કરી દેવાશે.