ભુજ, તા. 7 : ફેક્ટરી ચાલુ રાખવા માટે 50 હજાર હપ્તા પેટે વાયોરના પી.એસ.આઇ.
ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહે ગોહિલે ગેરકાયદે લાંચ માગી હતી અને રકઝકના અંતે 40 હજાર લાંચ ભુજમાં સ્વીકારી, પણ ઇન્દ્રવિજયસિંહને શક-વહેમ જતાં 40 હજાર લઇને નાસી છૂટયો હતો.
એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064ની આ ટ્રેપ
સફળ રહી હતી અને આરોપી ઇન્દ્રવિજયસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બનાવની વિગતો
એવી છે કે, ફરિયાદીની વિરુદ્ધમાં વાયોર
પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હોઇ જે ગુનામાં હેરાન-પરેશાન નહીં કરવા તેમજ ફરિયાદીની
ફેક્ટરીને ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે આ ગુનો આક્ષેપિત એવા વાયોર પોલીસ મથકના પી.એસ.આઇ.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ફરિયાદી પાસેથી 50 હજારની ગેરકાયદે લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા
માગતા ન હોવાથી તેણે ટોલ ફ્રી નંબર 1064નો સંપર્ક કરી એ.સી.બી. ગાંધીધામ ખાતે આવીને ફરિયાદ આપી હતી.
આ ફરિયાદના આધારે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-રાજકોટના નાયબ નિયામક એવા ઇન્ચાર્જ અધિકારી
બળદેવસિંહ વાઘેલા અને એ.સી.બી. બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝનમાં
ગાંધીધામ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.બી.
ચૌધરી અને તેમની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકાં મુજબ ભુજના ગાયત્રી મંદિરના
ગેટ પાસે રોડ પર ફરિયાદીએ આક્ષેપિત એવા ઇન્દ્રવિજયસિંહ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.
રકઝક બાદ આક્ષેપિત ઇન્દ્રવિજયસિંહે પાવડરવાળા 50 હજારમાંથી 10 હજાર કાઢી ફરિયાદીને પરત આપી કહ્યું કે, જલસા કર... આ બાદ આક્ષેપિત ઇન્દ્રવિજયસિંહને
કોઇ પ્રકારની શંકા જતાં તેણે પોતાની સફેદ કાર પૂરપાટ ભગાવી નાસી છૂટયો... એ.સી.બી.ની
ટીમે તેનો પીછો કર્યો પણ તે હાથ ન લાગ્યાની વિગતો સંબંધિતો પાસેથી મળી છે. આ અંગે આરોપી
વિરુદ્ધ ગાંધીધામ એ.સી.બી.માં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો છે.