ગાંધીધામ, તા. 16 : રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય છેતરાપિંડીના રૂપિયા ની હેરાફેરી માટે કચ્છના અલગ અલગ ગામના અને
શહેરના ગરીબ તથા જરૂરિયાત મંદ અને ઓછું ભણેલા લોકોને વિશ્વાસમાં લઈને તેમના નામે
ગાંધીધામ આદિપુરમાં દુકાનો ભાડે રાખીને દુકાનોમાં એકાઉન્ટ ધારકોની જાણ બહાર તેમને
પ્રોપરાઇટર બનાવીને તેમના નામે પેઢીઓ ઊભી કરીને ઉધ્યમ રજીસ્ટર કરાવીને બેંક
એકાઉન્ટ ધારકોની બહાર તેમના એકાઉન્ટમાં 182.37 કરોડની હેરાફેરી કરવાનું કૌભાંડ
બહાર આવ્યું છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ માંથી મળતી માહિતી પ્રમાણે
આદિપુરના આરોપી યસ મુલચંદ ભાટીયા,
સિદ્ધાર્થ સુનિલભાઈ સોની, સાહિલ દિનેશ શર્મા,
વિજય રાણા, અલ્પેશ સુરેશભાઈ લુહાર, રાપરના ઈલુભા મંગુભા જાડેજા, મોટીરાવના
વિશ્વરાજાસિંહ ઉર્ફે વિશુભા બાલુભા જાડેજા, અને સણવાના
હાર્દિક હરેશ રાજગોર એ પૂર્વ આયોજિત કાવતરું રચીને અલગ અલગ ગામના તથા રાપર આડેસર
માધાપર ભુજ ના વ્યક્તિઓના નામે સાવિંગ તથા કરંટ એકાઉન્ટ ખોલાવીને બેન્ક એકાઉન્ટની
તમામ સામગ્રી તેમની પાસે રાખી હતી. દેશમાં તથા વિદેશોમાં થતા સાયબર ફ્રોડ ના નાણા
તેમાં હેરાફેરી કરીને કમિશન મેળવીને પરત નાણા ઠગબાજો સુધી પહોંચાડવા માટે આરોપીઓએ
અલગ અલગ ગાંધીધામ તથા આદિપુરમાં દુકાનો ભાડે તાખી હતી. એકાઉન્ટ ધારકોની જાણ બહાર
તેમને પ્રોપરાઇટર બનાવીને તેમના નામે પેઢીઓ બનાવી હતી. ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી આ પેઢીઓના નામે ખોટા
ઇન્વોઇસ બીલો બનાવીને ભારતભરમાં જે ઠગાઈ કરીને સાયબર ક્રાઈમના ગુના આચરી ગેરકાયદે નાણાં
મેળવીને તેને હેરાફેરી માટે આ અલગ અલગ એકાઉન્ટના ઉપયોગ કરવામાં આવ્યા હતા. ઠગ
બાજોએ કુલ 81 બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં 1823768862 રૂપિયાની
હેરાફેરી કરી હતી. બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમનું કમિશન રાખીને આ નાણાં અન્ય
અલગ અલગ જગ્યાઓએ મોકલ્યા હતા. આ સાયબર ક્રાઇમના મામલામાં પોલીસે તપાસ કરતા આ
એકાઉન્ટમાં કુલ 74 જેટલી સાયબર છેતરાપિંડીની ફરિયાદો હોવાનું સામે આવ્યું હતું.
આરોપી યસ મુલચંદ ભાટીયા એ એક એકાઉન્ટ ધારકને છેતરાપિંડી ના પૈસા છે એકાઉન્ટ બંધ
કરાવવું પડશે તેવું કહીને તે એકાઉન્ટ ધારકને બોલાવીને તેમના બેન્ક એકાઉન્ટ માંથી 500532 રૂપિયા
ડિડી મારફતે ઉપાડી લીધા હતા. આરોપીઓએ એકાઉન્ટ ધારોકોની કીટ તથા નવા મોબાઈલ સીમ પણ
મેળવી પોતાની પાસે રાખી આ છેતરાપિંડીના કરોડો રૂપિયાની હેરાફેરી ને અંજામ આપ્યો
હતો. એક અરજદારે કરેલી અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ
શરૂ કરતા ધીરે ધીરે આખું કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસના
હેડ કોન્સ્ટેબલ અનિલ કુમાર વાળાગોતે સરકાર
તરફે ફરિયાદ નોંધાવી છે અને હવે આમાં આઠ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ
તેજ કરવામાં આવ્યો છે.