ભુજ, તા. 29 : તાલુકાના સુખપરના હંસાબેન તેના
નવ વર્ષના પુત્ર કૃષ્ણ રમેશ પિંડોરિયાને એક્ટિવામાં બેસાડી આજે રાત્રે ઘરે સુખપર લઈ
જતાં હતાં, ત્યારે મિરજાપર પાસે પાછળથી
ટ્રકે ટક્કર મારતાં હંસાબેન સાઈડમાં પડયાં હતાં અને પુત્ર કૃષ્ણ ટ્રકના ટાયર તળે ચગદાઈ
જતાં માતાની સામે જ વહાલસોયા પુત્રનાં કમકમાટીભર્યાં મોતની કરુણ ઘટના બની હતી,
તો એક અન્ય બનાવમાં ખાવડાના આર.ઈ. પાર્કમાં સોલાર પેનલ લગાડવા જતા 33 વર્ષીય યુવાન શ્રમિક કમલકુમાર
કલાનરામ (રહે. મૂળ ઉત્તરપ્રદેશ)ને વીજળીનો કરંટ લાગતાં તેનું મૃત્યુ થયું હતું. આજે
રાત્રે મિરજાપરના બસ સ્ટેશન પાસે થયેલા અકસ્માત અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ
ચોકીમાં પ્રવીણ વાલજી હીરાણીએ નોંધાવેલી વિગતો મુજબ તેમના બહેન હંસાબેન પિંડોરિયા
(રહે. નરનારાયણનગર, સુખપર) તેના
ભાઈ સવજીભાઈનાં એક્ટિવાથી ભુજથી સુખપર આવી રહ્યાં હતાં, ત્યારે
રાત્રે નવ વાગ્યાના અરસામાં મિરજાપરના બસ સ્ટેશન પાસે પાછળથી આવતી ટ્રક નં. જીજે-1-એઝેડ-7254ના ચાલકે ટક્કર મારતાં ભાણેજ કૃષ્ણ નીચે પડી જતાં તેના પર ટ્રકનાં
ટાયર ફરી વળતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
હતા. એ-ડિવિઝન પોલીસે રાતે પંચનામા અને ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી
તરફ ખાવડા પોલીસ મથકે સુપરવાઈઝર જોનીશકુમાર ધર્મેન્દ્રકુમારે જાહેર કરેલી વિગતો મુજબ
આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આર.ઈ. પાર્કમાં
અદાણી ગ્રીનમાં પ્લોટ નં. 8માં ઈલેક્ટ્રિશિયન
કમલકુમાર સોલાર પેનલ પ્લેટ લગાડતો હતો, ત્યારે ડાયરેક્ટ કરંટ આવી જતાં તેને શોર્ટ લાગતાં તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.