• સોમવાર, 30 જૂન, 2025

કોઠારા કન્યાશાળાની છાત્રાઓ કહે છે કે, અમને ભણાવશે કોણ ? શિક્ષકો જ નથી

કોઠોરા (તા. અબડાસા), તા. 29 : આઓ સ્કૂલ ચલે હમ... પણ ભણાવશે કોણ ? સ્થિતિ કોઠારા પ્રાથમિક કન્યાશાળામાં વિદ્યાર્થિનીઓ તો છે પણ શિક્ષક નથી ! ભણાવશે કોણ ? એક તરફ હાલમાં પ્રવેશ ઉત્સવનાં નામે સરકાર પ્રવેશોત્સવ યોજે છે. બેટી પઢાઓ બેટી બચાઓ જેવા વિવિધ સૂત્રો દ્વારા દીકરીઓને ભણાવવામાં આવે એવા પ્રયાસ સરકાર તરફથી પ્રચાર પસાર કરવામાં આવી રહ્યા છે, અહીં જાણે આ સૂત્ર લાગુ નથી પડતું એવું લાગી  રહ્યું છે, તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. કોઠારા કન્યાશાળા કે જ્યાં બાળવાટિકાથી લઇને ધોરણ આઠ સુધીનો અભ્યાસક્રમ છે, જેમાં 261 વિદ્યાર્થિનીની સંખ્યા છે, પણ અહીં નવની મહેકમની સામે એક જ શિક્ષક હોવાથી પાયાના અભ્યાસથી જ વંચિત રહે છે. જાણવા મળ્યું કે અહીં એક જ શિક્ષક છે જેમના માટે ઓનલાઇન કામગીરી, મિટિંગ જેવા અનેક સરકારી કામ કરવાના હોય છે, જેથી શિક્ષણ બગડી રહ્યું છે. અહીં દોઢ-એક વર્ષ પહેલાં ગણિત, વિજ્ઞાન વિષયના શિક્ષિકાની નિમણૂક કરવામાં આવી હતી, પણ બહેન તો હાજર થયા પણ કપાત પગારમાં ચાલ્યા ગયા. તે ગયા છે તેમ હજુ આવ્યા જ નથી તો બે શિક્ષિકા રાજીનામું આપી ગયા. છેલ્લા ચાર મહિનાથી ચાર શિક્ષક હતા પણ હવે. આ સત્રથી માત્ર એક જ શિક્ષક હોવાથી ભણાવશે કોણ તેવો પ્રશ્ન ઊભો થયો છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. કોઠારાના સરપંચ પ્રેમીલાબેન પરગડુએ જણાવ્યું કે અમે પણ રજૂઆતો કરી ચૂકયા છીએ, પણ દાદ મળતી નથી તો વાલી મંડળના ભદ્રેશ ગોર, શિવુભા ધલ, વિવેક રાવલ, હનીફ કુંભાર વગેરે રજૂઆતો કરી ચૂકયા છે, પણ કોઇ ઉકેલ આવ્યો નથી. કન્યાશાળામાં જલ્દીથી શિક્ષકની ઘટ પૂરી કરવામાં આવે એવી માંગ કરી હતી. 

Panchang

dd