ભુજ, તા. 29 : સગીરાનાં અપહરણના બે જુદા-જુદા
કેસમાં બે આરોપી નિર્દોષ જાહેર કરાયા છે. ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે તા. 1/10/24ના ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ
મુજબ લગ્નની લાલચ આપીને તેમની સગીર વયની દીકરીનું અપહરણ આરોપી મિહિર વિનોદભાઈ સોલંકી
(રહે. મોરબી)એ ફરિયાદીના કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં સ્પે. પોક્સો અદાલતમાં ચાલી જતાં શંકાનો લાભ આપી આરોપી મિહિરને નિર્દોષ છોડી
મૂકવા હુકમ કર્યો હતો. બચાવ પક્ષના વકીલ તરીકે એમ.એચ. રાઠોડ, ફરહાનખાન સિંધી, હનીફભાઈ
જત, ધીરજભાઈ જાટિયા, આસીફભાઈ કુંભાર,
હાસમશા શેખ, શેરાબેન રાઠોડ અને અમતુલ્લાબેન કુરેશી
રહ્યા હતા, જ્યારે અન્ય કેસમાં ભોગ બનનારે કહેવાતા આરોપી અલ્તાફ
ઈશાક મંગવાણા (રહે. વંડી-તુણા, તા. અંજાર) ઉપર પોક્સો એક્ટની
કલમ 18 મુજબનો તહોમત મૂકવામાં આવ્યો
હતો. જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં આરોપીને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો
છે, જેમાં આરોપીના એડવોકેટ તરીકે ડી.વી. ગરવા (એડવોકેટ
એન્ડ નોટરી)એ દલીલો કરી હતી. - ભુજની જમીનમાં વાદીનો દાવો રદ : ભુજ સીમના રે.સ.નં. 861/પૈકી 4વાળી જમીનમાં વાદી હાસમ આદમ બકાલી તેઓ આદમ
હાસમ બકાલીના દત્તક પુત્ર તરીકે છે અને આદમ હાસમ બકાલીએ તેમને સદર મિલકત બક્ષીસ ખતથી
લખી આપી હતી. જેથી મિલકતમાં આદમ હાસમ બકાલી એકલા માલિક હોઈ તેમજ પ્રતિવાદી કુલસુમબેન
મામદ સમા કે જે આદમ હાસમ સમાની વારસ પુત્રી છે તે વાદગ્રસ્ત મિલકત માલિક બનતા નથી, તે મતલબનો દાવો ભુજની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ
જજની કોર્ટમાં દાખલ કરી કેસ બીજા અધિક સિવિલ જજ નિખિલ અગ્રવાલની કોર્ટમાં ચાલી જતાં
પ્રતિવાદીના વકીલ સચિન એમ. ગોરે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પર ધ્યાન દોરી દાવો રદ કરવા
દલીલ કરતાં વાદીનો દાવો રદ કર્યો છે. પ્રતિવાદી તરફે એડવોકેટ સચિન ગોર સાથે લક્ષેષ
એ. રામાણી, અકુલ એ. અમૃતિયા તથા મીના પી. હડિયા રહ્યા હતા. - ભુજનાં સગીરાનાં અપહરણમાં મદદગાર
આરોપીઓના જામીન ગ્રાહ્ય : ભુજમાં સગીરાનાં અપહરણમાં આરોપીને મદદ કરનારા
આરોપી ગુલામશા ઈબ્રાહીમશા સૈયદ અને શેરબાનુ ઉર્ફે શબુમા ગુલામશાની અટક બાદ નિયમિત જામીનની
અરજી કરતાં અધિક સેશન્સ જજ દ્વારા જામીન ગ્રાહ્ય રહ્યા છે. આરોપી પક્ષે ધારાશાસ્રી
આર.એસ. ગઢવી, વીનિત જી. ચૌધરી,
વિશ્વા એન. પરમાર, હિરેન પી. ગઢવી, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા. - માર મારવાના કેસનો આરોપી નિર્દોષ
: નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી કોકીલાબેન
પુષ્કરભાઈ સાધુએ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધવલ ઈશ્વરદાસ સાધુ વિરુદ્ધ ગાળાગાળી, ધકબૂશટ માર મારવાનો ગુનો દાખલ કરાવ્યો હતો.
જેમાં ફરિયાદી, પંચો, સાહેદો, તપાસ કરનાર અધિકારી, તબીબને તપાસી અને રજૂ કરવામાં આવેલા
દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષની દલીલને ધ્યાને લઈ નખત્રાણાના અધિક ચીફ જ્યુ. મેજિ.એ
તહોમતદારને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો. તહોમતદાર તરફે એડવોકેટ તરીકે જે.કે. ચીનારાણા,
એ.એચ. ગુસાઈ, આર.જે. સચદે હાજર રહ્યા હતા. - લાખાડી : ગિરોમુક્તિના દાવામાં મનાઈ હુકમની અરજી મંજૂર : લાખાડીના સ્વ. જાડેજા બેચરજી દેશરજીના વારસો
જાડેજા વર્ષાબા પ્રવીણસિંહ પ્રાગજી વિ.ના પાવરદાર જયદીપસિંહ બળવંતસિંહ જાડેજાએ લાખાડી
નવા રે.સ.નં. 404 અને 408 ઠામ નામે `પઈ' અંગેનો ગિરો છોડાવવાનો દાવો કાંતિલાલ વાલજી પટેલ ભીમાણી વિગેરે (રહે. કલ્યાણપર-તરા)
વિરુદ્ધ દાખલ કર્યો હતો. જે દરમ્યાન મનાઈ હુકમની અરજી મંજૂર કરતો હુકમ નખાત્રાણાના
પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટે ફરમાવ્યો છે. વાદીના વકીલ તરીકે ધર્મેન્દ્રસિંહ
એમ. જાડેજા હાજર રહ્યા હતા.