ભુજ, તા. 29 : શરીરમાં જાણે અજાણે પ્રવેશેલા
વિકારોને દૂર કરવાનું યજ્ઞ શ્રેષ્ઠ માધ્યમ છે તેવું વર્ષા મહાયજ્ઞના 30થી વધુ સફળ પ્રયોગ કરી ચૂકેલા ડો. કમલ નારાયણજીએ
જણાવ્યું હતું. ભુજમાં આર્યસમાજ પ્રેરિત સમસ્ત જીવ કલ્યાણ સમિતિ આયોજિત પર્યાવરણ શુદ્ધિ-વર્ષા
મહાયજ્ઞમાં આજે મોટી સંખ્યામાં યજ્ઞપ્રેમીઓ ઊમટયા હતા. હરિદ્વારથી ખાસ આવેલા યજ્ઞદેવજી
મહારાજે યજ્ઞને માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં પણ અનુભવ અને પ્રયોગાત્મક પરિણામ દ્વારા
અસાધ્ય રોગોની સારવારનું માધ્યમ ગણાવ્યું હતું. આર્ય ગુરુકળ રોજડની બ્રહ્મચારિણી બહેનોએ
વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ
પટેલ, એગ્રોસેલના દીપેશભાઈ શ્રોફ, ડો. મુકેશ ચંદે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના રજનીકાંત મેઘાણી,
ફોકિયાના નિમિષ ફડકે સહિતે ઉપસ્થિત રહી યજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી.
કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ પણ યજ્ઞવિધિમાં જોડાઈ
હતી. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે વિવિધ સમાજના આગેવાનો આ વર્ષા મહાયજ્ઞમાં
જોડાયા હતા. આ વર્ષા મહાયજ્ઞનું મંગળવારે સમાપન થશે. આગામી વર્ષા મહાયજ્ઞ ભચાઉના ગુણાતીતપુર
ખાતે યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ માટેના યજમાન સ્વ. ગંગદાસ વેલાણી પરિવાર
રહેશે. પરિવારના પાંચ ભાઈઓને શ્રીફળ આપી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.