ગાંધીધામ, તા. 21 : કંડલાની
ડ્રાય ડોક સામે ઉભેલી ખાનગી કંપનીની ટગમાં ગળેફાંસો ખાઈ સુરજકુમાર ક્રિષ્ના રાય (ઉ.વ.
20) નામના યુવાને જીવ દીધો હતો. બીજીબાજુ આદિપુરમાં એસ.ટી.ની
વોલ્વો બસે હડફેટમાં લીધા બાદ બે વિદ્યાર્થીઓના મોત બાદ રાજકોટ સારવારમાં રહેલા સમીર
રહીમ ત્રાયા (ઉ.વ.20)એ દમ તોડી દેતા બનાવનો મૃત્યુઆંક
ત્રણે પહોંચ્યો હોત. કંડલામાં ડ્રાય ડોક સામે ઉભેલી રિશિ શિપિંગ કંપનીની ટગમાં આપઘાતનો
બનાવ ગઈકાલે બન્યો હતો. ટગમાં કામ કરનાર મૂળ બિહારના સુરજ કુમારે પોતાના ગમછા વડે કેબિનની
ગ્રીલમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અહીંથી એક બુક મળી આવી હતી
જેમાં એક યુવતીનું નામ તેણે સતત લખી રાખ્યું હતું તેમજ સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં
પણ તેણે લખી રાખ્યું હતું. આ યુવાને પ્રેમ પ્રકરણમાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું
પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હોવાનું તપાસ કરનાર પી.એસ.આઈ. વાય.પી. ગોહિલે જણાવ્યું
હતું. બીજીબાજુ આદિપુરમાં ટાગોર રોડ ઉપર ગત તા. 16/4ના
જીવલેણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી.ની વોલ્વો બસે પહેલા એક્ટિવા અને બાદમાં
સામેથી આવતી બાઈકને હડફેટમાં લીધી હતી. આ બનાવમાં રીતુ લક્ષ્મીનારાયણ સાધુપલ્લવી નામની
યુવતીનું તત્કાળ મોત થયું હતું. જ્યારે અન્ય વિદ્યાર્થિની તોલાણી મોટવાણી કોલેજમાં
બી.બી.એ.નું અભ્યાસ કરનાર અંકિતા ભરત ઝીલરિયાનું સારવાર દરમ્યાન મોત થયું હતું અને
સમીર રહીમ ત્રાયા નામના યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવાયો હતો. જ્યાં તેણે
સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લેતા આ બનાવમાં મૃત્યુઆંક ત્રણએ પહોંચ્યો હતો.