• સોમવાર, 12 મે, 2025

લોકતંત્રના સ્તંભો વચ્ચે અસંતુલન

`ન્યાયપાલિકા સુપર સંસદ બનવાની કોશિશ ન કરે..' તેવું ઉપરાષ્ટ્રપતિનું વિધાન બળતાંમાં ઘી હોમનારું ન બની રહે તો જ નવાઈ.  વિધાનસભામાં પસાર થયેલા ખરડાઓ અનિર્ણિત રાખવાના તામિલનાડુના રાજ્યપાલના વલણ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર જે ચર્ચા દેશભરમાં ન્યાયક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે શરૂ થઈ હતી, તેને જગદીપ ધનખડનાં નિવેદનથી ફરી વેગ મળે તેવી શક્યતા નકારી ન શકાય. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને કહ્યું હતું કે, કોઈ પણ નિર્ણય તમારે ત્રણ મહિનાથી વધારે પડતર રાખવો નહીં. શું સુપ્રીમ કોર્ટને આવો આદેશ આપવાનો અધિકાર છે ? તેવા સવાલ સાથે ચર્ચા એ રીતે લંબાઈ હતી કે, આ નિર્ણય પણ સર્વોચ્ચ અદાલતની સંવૈધાનિક પીઠને બદલે દ્વિસભ્ય પીઠે કર્યો છે. આ બધી ચર્ચા વચ્ચે એવો સંકેત મળ્યો કે, સરકાર આ નિર્ણયની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં જશે, તેવું થાય કે નહીં તે પછીની વાત છે, પરંતુ જે પ્રશ્ન સર્જાયો છે તે યથાવત્ રહેશે કે સર્વોચ્ચ અદાલત રાજ્યપાલોને વિવિધ વિધેયકો સંદર્ભે નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિને પણ આદેશ આપી શકે, આ ગૂંચ સામાન્ય નથી, લોકશાહીના આધારસ્તંભો વચ્ચેનો આ વિચારભેદ શરૂ થયો છે. જો કે, રાજ્યપાલો પણ કોઈ વિધેયક ઉપર નિર્ણય લીધા વગર તેને લાંબા સમય સુધી પોતાની પાસે રાખી મૂકે તે સ્થિતિ પણ આદર્શ તો નથી જ. તામિલનાડુના રાજ્યપાલ કેટલાક મહત્ત્વના વિધેયકો રોકીને બેઠા હતા અને તેમાંથી કેટલાક તો વર્ષો પૂર્વે વિધાનસભામાં પસાર થયા હતા. સમય, સંજોગ, ગુણદોષ તપાસીને રાજ્યપાલોએ પોતે નિર્ણય લઈ લેવો જોઈએ કે પછી જરૂર પડયે રાષ્ટ્રપતિ પાસે તે મોકલવો જોઈએ, પરંતુ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓના નિર્ણયને રોકી રાખવો તે તો સરકારના શાસન કરવાના અધિકાર અને પ્રજાના હિતોની ઉપેક્ષા છે. સર્વોચ્ચ અદાલતના વલણ ઉપર ઉપરાષ્ટ્રપતિએ કરેલાં નિવેદન કે વિધાનની વાત અલગ છે. તેમણે સર્વોચ્ચ અદાલતને સુપર સંસદ ન બનવા કહ્યું તે તેના સ્થાને છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, રાજ્યપાલો કોઈ પ્રસ્તાવ પર નિર્ણય જ કરે નહીં. રાજ્યપાલ કે તેમના જેવા અગત્યના બંધારણીય પદો ઉપર બિરાજમાન લોકો પાસેથી તો એ જ અપેક્ષા હોય કે તેઓ ત્વરિત નિર્ણય લે. સર્વોચ્ચ અદાલતે જે કંઈ કહ્યું તેને જો કોઈ હસ્તક્ષેપ માનતું હોય તો આવું કરવાનો અવસર ક્યારે આવ્યો? તે સવાલ પણ અસ્થાને નથી. સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલોની સાથે રાષ્ટ્રપતિને જ સમયસીમામાં બાંધ્યા હોય તેવું નથી. તામિલનાડુના એ રોકાયેલા વિધેયકોને મંજૂરી પણ આપી દેવાઈ છે. લોકતંત્રના ત્રણ સ્તંભ ન્યાયપાલિકા, ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચે તકરાર થઈ હોય તેવો આ પ્રથમ બનાવ નથી. ત્રણેય વચ્ચે સંકલન અને સંયોજનથી જ પ્રજાતંત્ર સારી રીતે ચાલી શકશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd