ગાંધીધામ, તા. 10 :
ભચાઉમાં નાના ધંધાર્થીને ઊંચા વ્યાજે પૈસા આપી બાદમાં બે શખ્સે યુવાનને માર મારતાં
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉમાં જલારામ ફલોર મિલ નામની અનાજ દળવાની
ઘંટી ચલાવતા ફરિયાદી રવિ અનિલ ઠક્કરે ધંધામાં મંદી તથા બીમાર બાળકની સારવાર કરાવવાની
હોવાથી માય ગામના હઠુભા વિક્રમસિંહ જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જેની અવેજીમાં
આરોપીએ ભુજ-મુંદરા રોડ પર આવેલા પ્લોટના દસ્તાવેજ ગીરો રાખી લીધા હતા. ફરિયાદીને કુલ
રૂા. 1,20,000 આપ્યા બાદ ફરિયાદીએ રૂા. 10,000 ચૂકવી દીધા હતા, છતાં આરોપી તેને વ્યાજ
માટે વારંવાર ગાળો આપતો હતો. બાદમાં ગઇકાલે હઠુભા જાડેજા તથા આદિપુરનો સુભાષ વાળંદે
ફરિયાદીના ઘરે આવી તેને બહાર બોલાવી પૈસાની માગણી કર્યા બાદ તેને માર માર્યો હતો. બનાવ
અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.