મુંદરા. તા. 11 : મુંદરાના એક રહેવાસી દ્વારા મિત્રતાના ભાવે ઉછીની આપેલી રકમનો
ચેક પરત ફરવાના કેસમાં નાણાં લેનારી વ્યક્તિને મુંદરા કોર્ટે દોષિત ઠરાવીને દંડ અને
દોઢ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, મુંદરાના શિવરાજાસિંહ અનુપાસિંહ જાડેજા (ફરિયાદી)એ
મિત્રતાના ભાવે લલ્લુભાઈ દશરથભાઈ પટેલ ( રહે. નાગોર, તા. ભુજ)ને
રૂા. 11 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે
પૈકી લલ્લુભાઈએ રૂા. 2,75,000નો
ચેક ફરિયાદીને આપ્યો હતો, જે ચેક પરત
ફરતાં ફરિયાદી તરફથી મુંદરાની જ્યુ. મેજિ. ફર્સ્ટ કલાસની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ
એકટ મુજબની ફરિયાદ દાખલ કરી હતી, જે કેસમાં કોર્ટ તરફથી આરોપી
લલ્લુભાઈ પટેલને દોષિત જાહેર કરી ઉપરોકત રકમ મુજબનો દંડ તેમજ દોઢ વર્ષની સાદી કેદની
સજાનો હુકમ કરાયો હતો. આ કેસમાં ફરિયાદી તરફે મુંદરાના એડવોકેટ રૂપેશ પદ્મકાન્ત રાવલ
તથા તેમના સહાયક એડવોકેટ કુ. દીપા હરસુખભાઈ જંગમ હાજર રહ્યા હતા.