દયાપર (તા. લખપત), તા. 11 : તાલુકાના
મુરચબાણ વિસ્તારમાં ઘણા સમયથી તળાવ-ડેમની આડમાં બેન્ટોનાઇટ ચોરી થઇ રહી હોવાના હેવાલ
પછી આજે પ્રશાસન જાગ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલભાઇ રાણાવસિયાની સૂચના મુજબ અને
મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલની આગેવાની હેઠળ મામલતદાર નવીનચંદ્ર મારૂ અને તેમની ટીમ
દ્વારા મુરચબાણ ખાતે બેન્ટોનાઇટ ઉત્ખનનની ગેરપ્રવૃત્તિ પર દરોડો પાડયો હતો. મુદ્દામાલ
સાથે મોટાં આઠ ડમ્પર પકડાયાં હતાં. લખપત તાલુકામાં 31/12/25ના ટ્રસ્ટી દ્વારા તળાવ કામનાં બહાને ખનિજચોરીનો અહેવાલ કચ્છમિત્રમાં
છપાયો હતો અને વારંવાર પકડાયા પછી પણ ખનિજચોરી તો ચાલુ જ રહી હતી. મોટા માથાની વગના
કારણે લખપત તાલુકામાં બેરોકટોક ખનિજ ઉત્ખનન થઇ રહ્યું છે. રાત્રે 1.15 વાગ્યે પ્રશાસને દરોડો નાખતાં
મોટા ડમ્પર બેન્ટોનાઇટ ખનિજથી ભરેલાં બે હિટાચી મશીન અને આઠ મોટા ડમ્પર મુદ્દામાલ સહિત ઝડપાયાં હતાં, જેને દયાપર પોલીસ સ્ટેશન હવાલે કરાયાં હતાં.
જેની અંદાજિત કિંમત 1,20,76200 જેટલી
થવા જાય છે તેવું પ્રશાસને જણાવ્યું હતું.