ભચાઉ, તા. 9 : આધોઈમાં એક વર્ષથી ડીપીના અભાવે
ખેડૂતોને અપૂરતો વીજ પુરવઠો મળે છે, વધુ જોડાણો થઈ ગયાં હોવાથી વીજ સમસ્યા વધી રહી છે, જેના
પગલે ખેડૂતો ભચાઉ વીજ કચેરીએ પહોંચ્યા હતા. આધોઈમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતોને વીજ
સમસ્યા સતાવી રહી છે. લાકડિયા, થીગળિયાપીર, આધોઈ સીમ સુધી વીજપોલ લગાવવામાં આવ્યા છે, પરંતુ વીજ
વાયરિંગ તથા અન્ય કામગીરી બાકી હોવાના કારણે કામ અટકી પડયું છે. આગામી ચાર દિવસ બાદ
આ કામગીરી સંપન્ન કરવામાં આવશે તેવું ખેડૂત આગેવાનોને વીજ અધિકારીએ જણાવ્યું હતું.
લાંબા સમયથી સર્જાયેલી સમસ્યાનું સમાધાન ચાર દિવસમાં આવશે તેવી ખાતરી ખેડૂતોને આપવામાં
આવી છે. આ રજૂઆત સમયે જિલ્લા પંચાયત બાંધકામ
સમિતિના ચેરમેન વાઘજીભાઈ છાંગા, આધોઈ સરપંચ રાજાભાઈ મણોદરા,
વેપારી મંડળના પ્રમુખ ખેડૂત અગ્રણી ભીમજીભાઇ પટેલ, નરા સરપંચ રણછોડજી જાડેજા વગેરે જોડાયા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે,
અત્યારના કોન્ટ્રાક્ટરો અધિકારીઓને પણ ગાંઠતા નથી, માત્ર બે હેલ્પર હોવાથી સમયસર કામગીરી થતી નથી, આ મુશ્કેલી
નિવારવા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.