નવી દિલ્હી, તા. 29 : ભાજપના સંસ્થાપકોમાંના
એક માર્ગદર્શક મંડળના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ કેન્દ્રની
નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણનીતિ, બજેટ, પ્રશાસનિક પ્રાથમિકતાઓ પર તીખા સવાલો કર્યા હતા. પેપરલીક જેવી ઘટનાઓને માત્ર પરીક્ષા પ્રણાલીની
નિષ્ફળતા માનવાના સ્થાને ડો. જોશીએ તેને સમાજ અને શાસનમાં વધતા ભ્રષ્ટાચાર સાથે જોડી
હતી. હું ભારે વિનમ્ર ભાવે પૂછવા માગું છું કે, વાજપેઈજીના સમયમાં પેપરલીક કેમ થતાં
નહોતાં ? સરકાર ખુદ ગોટાળાઓમાં ફસાયેલી છે તો તેની અસર શિક્ષણ
અને છાત્રો પર પણ પડે છે તેવું તેમણે ઉમેર્યું હતું. પેપરલીક રોકવા માટે સરકાર દ્વારા
વિમાનો, સેના, સુરક્ષા એજન્સીઓને કામે લગાડવાની
કવાયત પર કટાક્ષ કરતાં પીઢ નેતાએ જણાવ્યું હતું કે, પરીક્ષા નહીં,
યુદ્ધ છેડાયું હોય તેવું લાગે છે. સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઊઠાવતાં
મુરલી મનોહર બોલ્યા હતા કે, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યનું બજેટ
સતત ઓછું કરાયું છે. માર્ગો, પરિવહન પર ખર્ચ વધી રહ્યો છે. એક
મીડિયાને મુલાકાતમાં તેમણે કહ્યું કે, માત્ર રસ્તા બનવા એ વિકાસ
નથી, રસ્તાઓ માટે ઈજનેરો, મશીનો જોઈએ,
જેના માટે શિક્ષણ પ્રણાલી મજબૂત હોવી જોઈશે. વરિષ્ઠ ભાજપ નેતા બોલ્યા હતા કે શિક્ષણનું
આર્થિક રીતે ઉત્પાદક હોવું જોઈએ. એમ.એ., બી.એડ.ની ડિગ્રીવાળા સફાઈ કર્મચારી
તરીકે કામ કરવા મજબૂર છે.