માંડવી, તા. 4 : અપૂરતા વરસાદને પરિણામે સર્જાયેલાં
ખાબોચિયાં અને મર્યાદિત વહેણ વહેતાં-ઋતુને લીધે માખીઓનો વ્યાપક ઉપદ્રવ ત્રાસદાયક બન્યો
છે વગેરે કારણોસર રોગચાળાની સંભાવના જોતાં માંડવી શહેર, ગામડાંઓમાં અસરકારક જંતુનાશક દવા છંટકાવની માંગ
ઊઠી હતી. શહેરના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી, અશરફ રાયમા વગેરેએ
કહ્યું હતું કે, અપૂરતા વરસાદ, વાતાવરણમાં
મહદઅંશે અંધારિયો માહોલ, જળભરાવ - ખાબોચિયાં થકી માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરો, માખીઓને લીધે જનઆરોગ્ય જતન પ્રત્યે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની દોડાદોડ કરવાને
બદલે આગોતરાં અને અસરકારક પગલાં ભરવા સમયની માંગ છે. વાયરલ-તાવ વગેરે માથું ઊંચકે છે
તેવી વાતો ચર્ચાય છે. ઘણીવાર સ્થાનિક તંત્ર આંખે ચડવા કે કામગીરીનો દેખાડો કરવા ખાતર
ફાગિંગ મશીન દોડાવે, જેમાં અપૂરતી દવાનું પ્રમાણ હોય. ધુમાડો
વધુ હોય એવાં દૃશ્યો નજરે ચડતાં હોવાની છાપ છે. એ ઉપરાંત સમયની પસંદગી પણ તાર્કિક ન
હોય. મચ્છરો સાંજે અને સવારે ચોક્કસ સમયે ઘોડો દોડાવી દે પછીથી કરાતો દવા છંટકાવ સમય,
શક્તિ અને સંપત્તિનો દુર્વ્યય ગણાય. આવી વાત ગામડાંઓમાં પણ અમલમાં લાવવી
જોઈએ. પાલિકા તંત્રે આ વાસ્તે મુહૂર્ત જોવડાવવાની રાહ જોયા વગર ત્વરિત વ્યાપક,
પર્યાપ્ત અને સમય પ્રમાણે જંતુનાશક દવાનો જાહેર છંટકાવ કરી જનઆરોગ્ય
કાજે કટિબદ્ધ થવાની માગણી ધ્યાને લેવી જોઈએ.