• રવિવાર, 05 જુલાઈ, 2026

ગાંધીધામમાં રૂા. 900 વસુલાય પરંતુ પાણી નથી મળતું

ગાંધીધામ, તા. 4 : ગાંધીધામ મહાનગરપાલિકા જેનું સૌથી વધુ 900 રૂપિયા વેરાની વસૂલાત કરે છે તે પીવાનું પાણી આપવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. અસહ્ય મોંઘવારી વચ્ચે ખાનગી પાણીના ટેન્કરો મંગાવવા લોકોને પોસાય તેમ નથી અને પાલિકા દ્વારા ઘરના નળમાં જળ અપાતું નથી પરિણામે લોકો કોર્પોરેશનની કચેરીએ પીવાના પાણી માટે ધક્કા ખાય છે. દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી લોકો રજૂઆત કરવા આવી રહ્યા છે. સમસ્યાનો ઉકેલ ન આવતા પરિણામે લોકો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ આવી છે તેને બે મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પીવાના પાણીની સમસ્યાઓનું સમાધાન થયું નથી.  ખરેખર નેતાઓએ અધિકારીઓને સાથે લઈને ભુજથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરવી જોઈએ પરંતુ આવું થયું નથી. પાણી પુરવઠા બોર્ડ પાલિકાને દાદ દેતું નથી. તેવામાં જન પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ થઈ જાય છે.  પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ લોકોની પીવાના પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ છે. ટપ્પર ડેમ ભરેલો છે ઉપરાંત નર્મદાનું પાણી આવે છે.વરસામેડી જે પાણીનો જથ્થો ગાંધીધામ ને મળવો જોઈએ તેટલો મળતો નથી.  ગેરકાયદે લેવાયેલા જોડાણોના કારણે 15 એમએલડી પાણી રસ્તામાં સગેવગે થતું હોવાના ગંભીર આક્ષેપો છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાથી ગાંધીધામ આદિપુરના લોકોને નિયમિત પીવાનું પાણી મળતું ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. - અમુક કર્મચારી લોકોને પાલિકા મોકલતા હોવાના આક્ષેપો : પીવાના પાણીની ગંભીર કટોકટી છે લોકોને પાણી મળતું નથી હેરાન થઈ રહ્યા છે ફરિયાદો કરવા છતાં કોઈ પગલા ભરાતા નથી તે વચ્ચે મહાનગરપાલિકામાં દરરોજ અલગ અલગ વિસ્તારના લોકો રજૂઆત કરવા આવી રહ્યા છે.  તેમાં પાલિકાના અમુક કર્મચારીઓ ને લોકો પાણી માટે ફોન કરે છે ત્યારે તે કર્મચારી લોકોને પાલિકા પહોંચીને રજૂઆત કરો તેવું કહેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાણી નથી મળતું એ સત્ય છે પરંતુ જે સમસ્યાનું સમાધાન ફોન ઉપર થતું હોય તેવામાં લોકોને પાલિકામાં શું કામ ધક્કા ખવડાવાય છે તે બાબતો ઉપર સવાલ ઉઠાવાઈ રહ્યો છે. - કાર્ગોના લોકોને કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ  : શનિવારે સવારે કાર્ગો વિસ્તારના લોકો પીવાના પાણીની રજૂઆત માટે આવ્યા હતા. અહીં લોકો કામગીરી કરવા નથી દેતા તેવા આક્ષેપો છે. તો સામે લોકો પહેલા પ્રેસર થી પાણી આપો પછી વાલ્વ નાખવા સહિતની કામગીરી કરો તેવું કહે છે.  તે વચ્ચે કર્મચારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. માંડ માંડ મામલો થાળે પડ્યો હતો પણ આ સમસ્યાનું સમાધાન કાઢવું જરૂરી છે. - વાયદા ન કરો પાણી આપો, લોકો પોસ્ટર સાથે પાલિકા પહોંચ્યા : મેઘપર કુંભારડીના કપિલેશ્વર નગરમાં 25 દિવસથી પીવાનું પાણી મળ્યું.  નથી લોકોએ ઓનલાઇન ફરિયાદ કરી છે તેમ છતાં સમસ્યાનમ ન ઉકાતા શનિવારે મહિલાઓ તથા બાળકો અને લોકો વાયદા ન કરો પીવાનું પાણી આપો તેવા પોસ્ટર લઈને પાલિકા પહોંચ્યા હતા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને રજૂઆત કરી હતી. પીવાનું પાણી ન મળતા બાળકોથી લઈને વડીલો અને વૃદ્ધો પણ હેરાન થઈ રહ્યા છે. 

Panchang

dd