ભુજ, તા. 20 : અહીંની નવી શાકમાર્કેટ પાસેના
અતિ વ્યસ્ત માર્ગની હાલત બદતર બનતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ભુજના મુખ્ય
માર્ગો પૈકીનો એક, જ્યાંથી દરરોજ
એસટી બસો અને નાનાં-મોટાં વાહનોની ભારે અવરજવર રહે છે તેમજ અનેક પ્રવાસીઓ પણ આવતા-જતા
હોય છે, તેવો નવી શાકમાર્કેટ પાસેનો રોડ થોડા ભાગમાં અત્યંત બિસમાર
હાલતમાં ફેરવાઈ ગયો છે. શહેરના હૃદય સમાન આ સૌથી ધમધમતા વિસ્તારમાં માર્ગે ખાડાઓના
કારણે વાહનોને ભારે પછડાટ ખાવી પડે છે, જેનાથી અકસ્માત થવાનો
ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોની આ ગંભીર સમસ્યા અંગે જાગૃત નાગરિક મિતેષભાઈ
શાહે ભુજ નગરપાલિકાનું ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે રોડની મરંમત કરવાની માંગ સાથે કારોબારી
ચેરમેન મહિદીપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. શ્રી જાડેજાએ આ ગંભીર મામલે હકારાત્મક પ્રતિભાવ
આપતાં ખાતરી આપી હતી કે, આ માર્ગનું સમારકામ ટૂંક સમયમાં જ પ્રાથમિકતાના
ધોરણે હાથ ધરાશે.