નવી દિલ્હી, તા. 21 : આતંકવાદ સામેની
લડાઈમાં પોલેન્ડે ભારતનો ખુલીને સાથ આપ્યો છે. ભારતમાં પોલેન્ડના રાજદૂત પિયોટ્ર એન્ટોની
સ્વિતાલ્સ્કીએ કહ્યું હતું કે આતંકવાદના મુદ્દે પોલેન્ડ ભારતની સાથે છે. પોલેન્ડ પોતે
પણ ત્રાસવાદનો શિકાર રહ્યું છે. આ કારણે તે ભારતના આતંકવાદીઓ સામેની કાર્યવાહીના અધિકારનું
સમર્થન કરે છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં સ્વિતાલ્સ્કીએ
કહ્યું હતું કે ભારત એક પ્રભાવશાળી ભાગીદાર છે. વર્તમાન અસ્થિર દુનિયામાં ભારત અને
પોલેન્ડ મળીને સ્થિરતા અને સારી વૈશ્વિક વ્યવસ્થા માટે કામ કરી શકે છે. ભારતમાં આતંકી
હુમલાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં ભારતની જમીન ઉપર હુમલા થયા છે. ખાસ કરીને 2025માં કાશ્મીરમાં થયેલો હુમલો
ખુબ જ ગંભીર હતો. પોલેન્ડમાં ભલે ભારત જેવી ઘટનાઓ નથી બની પણ આતંકવાદના મુદ્દે પોલેન્ડ
ભારતની સાથે છે અને જવાબ આપવાના ભારતના અધિકારનું સમર્થન કરે છે.