નવી દિલ્હી, તા. 8 : કેરળમાં ચૂંટણી
પ્રચાર દરમ્યાન ગુજરાતી લોકો પર કરેલી ટિપ્પણીથી વકરેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે એ નિવેદન બદલ માફી માગી હતી. કેરળમાં ગુજરાતીઓને `અભણ'
કહી દેનારા ખડગેએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા
પર મારાં નિવેદનને ઈરાદાપૂર્વક ખોટી રીતે રજૂ કરાયું હતું. છતાં મારા શબ્દો બદલ ખેદ
વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશાં સર્વોચ્ય સન્માન રહ્યું
છે અને હંમેશાં રહેશે. ગુજરાતીઓની ભાવનાને ઠેંસ પહોંચાડવાનો કદી હેતુ ન હોતો,
તેવું ખડગેએ જણાવ્યું હતું.બીજી તરફ, ગુજરાતી સમુદાયના લોકોએ ખડગેની ટિપ્પણી સામે આજે દિલ્હીમાં કોંગ્રેસ
કાર્યાલયની બહાર પ્રદર્શન કરી ખગડે વિરુદ્ધ નારેબાજી સાથે માફીની માંગ કરી હતી. દરમ્યાન, ભાજપ નેતા અને પૂર્વ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ મુદ્દા પર કોંગ્રેસનાં નેતૃત્વ પાસે જવાબ માગ્યો
હતો. પ્રસાદે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીને પૂછયું હતું કે, શુ તેઓ ખડગેએ કરેલી
ટિપ્પણી સાથે સહમત છે ? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
પણ કહ્યું હતું કે, ખડગેએ માફી માગવી જોઈએ. તેમણે સાડા છ કરોડ
ગુજરાતીનું અપમાન કર્યું છે.