નવી દિલ્હી, તા. 7 : સંસદનાં બજેટ
સત્રનું બીજું ચરણ નવમી માર્ચના સોમવારથી શરૂ થશે અને બીજી એપ્રિલ સુધી ચાલશે. ભાજપ
તેમજ કોંગ્રેસે લોકસભા સાંસદોને ત્રણ લીટીના વ્હીપ જારી કરતાં નવથી 11 માર્ચ સુધી ગૃહમાં હાજર રહેવા
જણાવ્યું હતું. કોંગ્રેસે તેના સાંસદોને કહ્યું છે કે, લોકસભા સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચાની
શક્યતા હોવાથી સંસદમાં હાજરી આપે. વિપક્ષે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની
નોટિસ આપી છે, જેના પર 118 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર
કર્યા છે. જો કે, તૃણમૂલ કોંગ્રેસના
29 સાંસદે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા નથી. બજેટ સત્રના
બીજા દોરમાં આ મુદ્દે ધમાલ જોવા મળી શકે છે. બીજી તરફ પોતાના પક્ષના અધ્યક્ષના નિર્દેશ
અનુસાર તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવાનું નક્કી કરી લીધું
છે. તૃણમૂલ સાંસદો લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ મત આપશે. સ્પીકર બિરલાએ પક્ષપાતભર્યું વલણ
અપનાવીને વિપક્ષી નેતાઓને બોલવાની તક ન આપી તેવો આરોપ છે. નિયમો મુજબ સ્પીકર હટાવવાનો
પ્રસ્તાવ સાધારણ બહુમતથી પસાર થાય છે. એનડીએ પાસે 209થી વધુ સાંસદોનું સમર્થન છે.