અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી): ઈરાન
અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે વહેલી સવારે 170 ભારતીય મુસાફરોને લઈને એક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી.
વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ પોતાનો અનુભવ વિશે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને
ત્યાં બોમ્બ તેમજ મિસાઈલ ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. જોકે, મુસાફરોએ ભારત સરકાર અને તંત્રનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલીના સમયે તેમને ત્યાં ફ્રી સુવિધા અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ 210 મુસાફરો સાથે પણ એક ફ્લાઈટ અમદાવાદ આવી પહોંચી હતી. આ ફ્લાઈટમાં
આવેલા મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો. મુસાફરોએ કહ્યું હતું કે, સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. દુબઈમાં અમે
બે દિવસ ફસાયેલા રહ્યા હતાં. જ્યાં બોમ્બ અને મિસાઈલ ફૂટ્યા હતાં. ત્યાં રોકાયેલા દરેકને
મફતમાં સુવિધા મળી હોવાનું પણ મુસાફરોએ કહ્યું હતું.