ક્વેટા, તા. 9 : ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરથી પાકમાં ગૃહયુદ્ધ શરૂ થયું
છે, જેનો
ફાયદો ઉઠાવી દશકોથી આઝાદીની લડત ચલાવતા બલૂચિસ્તાનના વિદ્રોહી સંગઠન બલૂચ લિબ્રેશન
આર્મીએ બલૂચિસ્તાનના ત્રણ પ્રાંત પર કબજો કરી લીધો છે અને ત્યાં પાકનો ઝંડો ઊતારી પોતાનો
ધ્વજ ફરકાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો
હતો. દરમિયાન પ્રસિદ્ધ બલૂચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલૂચે પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાનની
સ્વતંત્રતાનું એલાન કરી દીધું છે અને ભારત
સરકાર પાસે નવી દિલ્હીમાં બલૂચિસ્તાનનું દૂતાવાસ ખોલવાની મંજૂરી માગી છે. મીર યાર બલૂચને
બલૂચ લોકોના અધિકારની તરફેણ માટે ઓળખવામાં આવે છે. તેઓએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે
આઝાદીનું એલાન કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ બલૂચિસ્તાનમાં શાંતિ રક્ષક
દળ મોકલવા અને પાકિસ્તની સેનાને ક્ષેત્ર છોડવાનો આગ્રહ કર્યો હતો. આ પહેલાં ગુરુવારે
બીએલએએ બે સ્થળે સેનાની ગાડી પર કરેલા હુમલામાં
12 જવાનને મારી નાખ્યા હતા, જેનો વીડિયો પણ બીએલએએ પોતાની
ચેનલ પર મૂક્યો હતો. છેલ્લા બે દિવસથી બીએલએ દ્વારા પાક સેના પર તીવ્ર હુમલા કરાઈ રહ્યા
છે. જેમાં થોડા દિવસ અગાઉ પાક સેનાની ટ્રક પર કરાયેલા હુમલામાં પણ અનેક સૈનિક માર્યા
ગયા હતા. નોંધનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી બલુચ આર્મી દ્વારા
પાકિસ્તાની સુરક્ષા દળો પર ઘાતક હુમલા કરાઈ રહ્યા છે, પરંતુ છેલ્લા
એકાદ સપ્તાહથી તેમાં વધારો નોંધાયો છે. એવું મનાઈ રહ્યું છે કે, ભારતે આદરેલા ઓપરેશન સિંદૂરથી બીએલએને પણ મોટી તક મળી ગઈ છે.