નવી દિલ્હી, તા. 19 : રોયલ ચેલેન્જર્સ
બેંગલોરે આઈપીએલમાં પોતાનું અભિયાન પરત પાટે ચડાવવું હોય અને પંજાબ કિંગ્સ સામે બે
દિવસની અંદર જ હારનો બદલો લેવો હોય તો રવિવારે દમદાર ઈનિંગ્સ બતાવવી પડશે. આ મુકાબલો
રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. પંજાબ કિંગ્સ સામે આરસીબીને રવિવારે ન્યુ ચંડીગઢના
મુલ્લાંપુરમાં રમાનારી મેચમાં બેટ્સમેનો પાસે સારા પ્રદર્શની આશા રહેશે. શુક્રવારે
પંજાબ સામે રમાયેલી મેચમાં ટીમ ડેવિડને બાદ કરતા આરસીબીનો કોઈ પણ બેટ્સમેન સારું પ્રદર્શન
કરી શક્યો નહોતો અને ટીમને પાંચ વિકેટે હારનો સામનો કરવો પડયો હતો. આરસીબી પાસે ફિલ સાલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદર
અને લિયામ લિવિંગસ્ટોન જેવા સારા બેટ્સમેન છે પણ વાપસી માટે ખુબ ઓછો સમય છે. પાટીદારે બેંગલોરમાં પંજાબ સામે હાર માટે બેટ્સમેનોની નિષ્ફળતાને
જવાબદાર ઠેરવી હતી. આરસીબી વર્તમાન સમયે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે છે. જો ટોચની
ચાર ટીમમાં જગ્યા યથાવત રાખવી હોય તો હવે દરેક મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે. પંજાબ
કિંગ્સ શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. તેણે સાતમાંથી
પાંચ મેચમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં દિલ્હી બાદ બીજા ક્રમાંકે છે. પંજાબના
બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું છે. અર્શદી, જેવિયર બાર્ટલેટ
અને માર્કો યાનસન ઝડપી બોલિંગમાં શાનદાર રહ્યા છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે વચ્ચેની
ઓવરોમાં વિકેટ લઈને પોતાને સાબિત કર્યો છે.