અમદાવાદ/નાગપુર, તા.16 : રણજી ટ્રોફીની
બે સેમિ ફાઇનલ સોમવારથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કેરળ સામે ગુજરાતનું
પલડું ભારે રહેશે. જયારે નાગપુર ખાતે વર્તમાન ચેમ્પિયન મુંબઇ સામે પાડોશી ટીમ વિદર્ભ
પર દબાણ રહેશે. ગુજરાત ટીમ આ સીઝનમાં તેની
આક્રમક રમત અને મજબૂત બેટિંગને લીધે હરીફ ટીમો પર ભારે પડી છે. કવાર્ટર ફાઇનલમાં તેણે
સૌરાષ્ટ્ર ટીમને રાજકોટમાં એક દાવથી પરાજીત કરી હતી. આ જીતથી કપ્તાન ચિંતન ગાજાની ટીમનું
મનોબળ વધ્યું છે. ગુજરાત ટીમ 2016-17 સત્રની
ચેમ્પિયન છે, પણ 2019-20 પછી પહેલીવાર સેમિ ફાઇનલમાં
પહોંચી છે. તેની સેમિ ફાઇનલમાં પહોંચવાની રાહમાં મધ્યક્રમના બેટધરો મનન હિંગરાજિયા, જયમીત પટેલ અને વિકેટકીપર ઉર્વિલ પટેલનો ફાળો
મહત્વનો રહ્યો છે. બીજી તરફ કેરળ ટીમ કવાર્ટર ફાઇનલમાં જમ્મુ-કાશ્મીર સામે ડ્રો મેચ
રમી હતી, પણ પહેલા દાવની માત્ર 1 રનની સરસાઇથી તેને સેમિ પ્રવેશ નસીબ થયો
છે. ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર જલજ સકસેનાની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. બીજા
સેમિ ફાઇનલમાં વિદર્ભ સામે મુંબઇ ટીમની જીતની દાવેદાર ગણાય છે. મુંબઇ ટીમ પાસે કપ્તાન
રહાણે, સૂર્યકુમાર, શિવમ,
શાર્દુલ તનુષ કોટિયાન આયુષ મ્હાત્રે, શમ્સ મુલાની જેવા સારા ખેલાડીઓની
ફોજ છે.