નવી દિલ્હી, તા. 6 : આયર્લેન્ડ
અને ઇંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણીની
સાથેસાથે એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે અને વંડરબોય વૈભવ
સૂર્યવંશીની આખરે ભારતની સિનિયર ટીમમાં એન્ટ્રી થઇ છે. પ્રિન્સ યાદવને પણ તક મળી છે.
બીસીસીઆઇ હેડક્વાર્ટરમાં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં ટીમને અંતિમ રૂપ આપવામાં આવ્યું
હતું. ત્રણેય ટૂર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશિપ શ્રેયસ અય્યર કરશે, જ્યારે તિલક વર્મા ઉપકેપ્ટન બન્યો છે. છેલ્લા
કેટલાક સમયથી ફોર્મવિહોણા સૂર્યકુમાર યાદવ પાસેથી ટી-20 ટીમની કપ્તાની તો લઇ લેવામાં
આવી જ છે સાથે ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. આમ સ્કાય યુગનો અંત થયો છે. પ્રેસ કોન્ફરન્સમાં
ટીમનું એલાન મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને બીસીસીઆઈ સચિવ દેવજિત સૈકિયાએ કર્યું હતું.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો
છે. તે એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને મોહમ્મદ સિરાજની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.
જો કે, સિરાજને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસે
સામેલ કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવની ફરી ઉપેક્ષા થઇ છે અને તેનાં સ્થાને રવિ બિશ્નોઇને
સામેલ કરાયો છે. શ્રેયસ તો ટી-20ની ટીમમાં પણ નહોતો અને હવે સીધી કપ્તાન તરીકે વાપસી કરી છે.
સૂર્યકુમાર યાદવ પાસેથી ટી-20ની કેપ્ટનશિપ
છીનવી લેવામાં આવી છે અને ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઇની એપેક્સ કાઉન્સિલ
કમિટીની બેઠકમાં સૂર્યાને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને શનિવારે ઔપચારિક એલાન
થયું હતું. ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી માટે ટીમની ઘોષણા બાદમાં કરવામાં આવશે. બીસીસીઆઇ
દ્વારા શ્રીલંકામાં બે મલ્ટિ-ડે મેચ માટે ઇન્ડિયા-એ સ્ક્વોડની પણ ઘોષણા કરી હતી.