શિવલખા, ગાંધીધામ, તા. 15 : ગુજરાત અને કચ્છમાં નમકનું મોટા પયે ઉત્પાદન થાય છે. મીઠાના પરિવહન કરવામાં આવતા અનેક પડકારોના ઉકેલ માટે ખાસ પ્રકારના ડીઝાઈન કરવામાં આવેલા સ્ટીલના કન્ટેઈનર વિકસાવવામાં આવ્યા છે. આ પહેલ ગુજરાતના મીઠા ઉત્પાદન ક્ષેત્રોને દેશના વિવિધ બજાર સાથે રેલવે મારફત જોડવાની દિશામાં મહત્વપુર્ણ પગલું છે. તેવું કેન્દ્રીય રેલવે મંત્રીએ કચ્છના વિવિધ 295 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રવાસી સુવિધા અને માલ પરિવહન ક્ષમતાને મજબુત બનાવતા પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરાવતા જણાવ્યું હતું. આ દરમ્યાન કચ્છમાં ચાલતા વિવિધ રેલવેના પ્રકલ્પો અંગે પણ તેમણે વાત કરી હતી. - વડાપ્રધાનના નેતૃત્વમાં રેલવેમાં પરિવર્તન આવ્યું : વર્ચ્યુઅલ માધ્યમથી શિવલખા અને ભીમાસર ખાતે ગતિશક્તિ ટર્મીનલ , નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશન, અને અંજાર ખાતે ભુજ શાલિમા ટ્રેનના સ્ટોપેજનો આરંભ કરાવતા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે જનો કાર્યક્રમ રેલવેમાં નવાચાર અને નવી વિચારસરણીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવેની કામગીરીની પદ્ધતિમાં સર્વગ્રાહી પરિવર્તન આવ્યું છે. નવી સમસ્યાઓના નવા ઉકેલો શોધવા, નવાચારને અપનાવવા અને ક્ષેત્રની વાસ્તવિક સમસ્યાઓ માટે ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં રેલવે નિરંતર કામ કરી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ નવાચારના પરિણામ સ્વરૂપે શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે રવાના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. - કચ્છમાં રૂા. 5,600 કરોડની પરિયોજનાઓ ઉપર ચાલતુ કામ : રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે.કચ્છ જિલ્લામાં લગભગ રૂા. 5,600 કરોડના ખર્ચે વિવિધ રેલવે અને માળખાકીય પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આમાં સામાખ્યાળી, ભુજ, ભચાઉ, ભીલડી અને ગાંધીધામ જેવા પ્રમુખ સ્ટેશનો અને ક્ષેત્રો સાથે સંબંધિત પરિયોજનાઓ સામેલ હોવાનું ઉમેર્યું હતું. - નવા ટર્મીનલથી ઉદ્યોગને રાહત થશે : સાંસદ : 200 કરોડના ખર્ચે બનેલા ગતિશક્તિ ટર્મીનલ ખાતે આયોજીત કાર્યક્રમાં સંબોધન કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આખા દેશમાં નમો ભારત, વંદે ભારત ટ્રેનો, અમૃત મહોત્સવ અંતર્ગત ભુજ, સામખિયાળી, ભચાઉ, ગોપાલપુર સહિત 1000 થી વધુ અમૃત રેલવે સ્ટેશનોનું નિર્માણ, નવી નવી યોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન થઈ રહ્યું છે. શિવલખામાં નિર્મિત નવા ટર્મિનલથી ઉદ્યોગોને પરિવહન સરળ અને સસ્તું થશે તો ગોપાલપુર સ્ટેશન શરૂ થવાથી મુસાફરોનો એકથી દોઢ કલાકનો સમય બચશે. કચ્છનાં રેલવેનાં કાયાકલ્પ કરવા બદલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ નો આભાર વ્યક્ત કર્યો હતો. - કચ્છમાં રેલવેના વિકાસમાં સરકારે કોઈ કસર ન છોડી: રાજયમંત્રી : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ રેલવે માર્ગ સસ્તો અને સલામત હોવાનું જણાવી સરકાર દ્વારા કચ્છનાં રેલવે ક્ષેત્રે વિકાસમાં કોઈ કસર છોડી ન હોવાનું કહ્યું હતું. ટ્રેડ અને કોમર્સમાં વૃદ્ધિ માટે આ નવો પ્રકલ્પ શરૂ કરવા બદલ રેલવે મંત્રી, પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરી સાંસદ, ધારાસભ્ય વગેરેની મહેનતને બિરદાવી હતી. આ પ્રસંગે સ્ટીલ કન્ટેનરની મીઠાની રેકને ર પ્રસ્થાન કરાવાયું હતું.ં. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ,કચ્છ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ વિકાસ રાજગોર, જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા,ભચાઉ તાલુકા પંચાયતનાં પ્રમુખ રાજીબેન વાવીયા, વાઘજીભાઈ છાંગા, જિલ્લા પંચાયતનાં સદસ્ય વિક્રમાસિંહ જાડેજા, સુરેશ મકવાણા, રાપર તાલુકા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ઢીલા, પુર્વ પ્રમુખ હમીરજી સોઢા, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, કમલાસિંહ સોઢા, વિનુભાઈ થાનકી, રેલવેનાં ડીઆરએમ વેદ પ્રકાશ , અધિકારીઓ જોડાયા હતાં. - ગાંધીધામ વિધાનસભાના તમામ રેલવે સ્ટેશનો આધુનિક : ધારાસભ્ય : ગાંધીધામ ખાતે ટ્રેનના એન્જીનને રીવર્સલ સહીતની સમસ્યા નિવારવા ગોપાલપુર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. શિવલખા ખાતે કાર્યક્રમ પુરો કરી ટ્રેન મારફત સાંસદ વિનોદભાઈ ચાવડા, તેમજ રેલવેના અધિકારીઓ ગોપાલપુર આવ્યા હતા અને સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આ પુર્વે પરિસર ખાતે આયોજીત કાર્યક્રમમાં સબોંધન કરતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું હતું કેગોપાલપુર રેલવે સ્ટેશન નિર્માણ થાય તે ગાંધીધામ વાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન આજે સાકાર થયું હોવાનું કહ્યું હતું. ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં સામખીયાળી ભચાઉ રેલ્વે સ્ટેશન નું નવીનીકરણ થયું છે અને ગોપાલપુર રેલ્વે સ્ટેશન નવનિર્મિત બન્યું છે તેમજ ગાંધીધામનો મુખ્ય રેલવે સ્ટેશનનુ પણ નવીનીકરણ થશે તેવું કહી વડાપ્રધાન અને રેલ્વે મંત્રી પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. - રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા મેયરનો અનુરોધ : ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણીએ જણાવ્યું હતું કે ગોપાલપુર રેલવે સ્ટેશન ના નિર્માણથી પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે અને લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બનશે આ નવી વ્યવસ્થા થી ઉદ્યોગોને વેગ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ રેલ્વે સ્ટેશનને સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ કાર્યક્રમમાં મહાપાલિકાના ડેપ્યુટી મેયર નવની જરૂ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તેજશ શેઠ, શાસક પક્ષના નેતા ભરત મીરાણી, દંડક સુરેશ ધુંવા, શહેર ભાજપ પ્રમુખ અલ્પેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, તેમજ મહાપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, ડીઆરયુસીસી મેમ્બર રાકેશ જૈન, શિપિંગ ઉદ્યોગકાર મનોજ મનસુખાણી, શશિકાંત ધનવાણી, લક્ષ્મણભાઈ આહીર, હરીશ માહેશ્વરી, અનિમેષ મોદી, એરીયા રેલવે મેનેજર હેમંતકુમાર સિંઘ કાદીયાન, સી.પી.એમ, ગાંધીધામ એ.ટી.એમ ડો. આકાંક્ષા ઝા, કોમર્શિયલ સુપ્રીન્ટેન્ડેન્ટ રાહુલ ડાબલા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. - અંજાર ખાતે ભુજ શાલીમાર સ્ટોપેજ : અંજાર ખાતે ભુજ શાલિમાર ટ્રેનના સ્ટોપેજનો આરંભ કરાવાયો હતો. આ સુવિધા અંજાર અને આસપાસના ક્ષેત્રોના યાત્રીઓ માટે મહત્વપૂર્ણ યાત્રી સુવિધા છે. આ સ્ટોપેજથી યાત્રીઓને ભુજ શાલીમાર એક્સપ્રેસ મારફતે દેશના વિવિધ પ્રમુખ શહેરો અને મહત્વપૂર્ણ ગંતવ્ય સ્થાનો સુધી વધુ સુવિધાજનક રેલવે યાત્રાનો લાભ મળશે. - આદિપુર- ભુજ સેકશન ડબલીંગ સહીતના વિસ્તૃતીતરણના પ્રોજેકટથી રેલવે કનેકટીવીટીને ગતિ મળશે : રેલવે મંત્રી : ગાંધીધામ, તા. 15 : રેલવે મંત્રીએ કચ્છ માં રેલવે દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સામખીયાળી ભચાઉ સેક્શનનું ફોર લાઇનિંગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ભચાઉ ગાંધીધામ સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઇનનું કામ પ્રગતિ હેઠળ છે. ગાંધીધામ આદિપુર સેક્શનનું ફોર લાઇનિંગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આદિપુર ભુજ સેક્શનને સિંગલ લાઇનમાંથી ડબલ લાઇનમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. કચ્છના સર્વગ્રાહી રેલવે નેટવર્કને મજબૂત કરવા માટે ભુજ નલીયા ગેજ રૂપાંતરણ પરિયોજનાને વર્ષ 2024માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ ઉપરાંત નલીયા જખૌ પોર્ટ નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે. નલિયાથી વાયોર, નારાયણ સરોવર, લખપત, હાજીપીર અને લૂણા થઈને દેસલપર સુધી કચ્છને જોડતી નવી રેલવે લાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે. આનાથી કચ્છ ક્ષેત્રમાં રેલવે કનેક્ટિવિટીના વિસ્તારને નવી ગતિ મળશે.