નલિયા, તા. 15 : રાજ્યમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ
હવામાનનાં કારણે અરબસાગર અત્યંત તોફાની બન્યો છે. દરિયામાં ઊછળતાં ઊંચાં મોજાં અને
ઝડપી પવનોનાં પગલે માછીમારોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જખૌ બંદરથી માછીમારી
માટે જતી બોટોને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જે બોટો અગાઉથી માછીમારી માટે દરિયામાં ગઈ હતી
તેમને પણ તાત્કાલિક કિનારે પરત બોલાવી લેવામાં આવી છે. દરિયામાં સર્જાયેલી તોફાની પરિસ્થિતિનાં કારણે પોરબંદર,
ઓખા, માંગરોળ, વેરાવળ અને
દીવ સહિત રાજ્યના વિવિધ બંદરોએથી ઉપડેલી આશરે 150 જેટલી માછીમારી બોટોએ સુરક્ષા
માટે જખૌ બંદર તરફ વળીને આશરો લીધો છે. તમામ બોટોએ જખૌ કિનારે લંગર (એન્કર) નાખી દીધા
છે. જખૌ માછીમાર એસોસીએશનના પ્રમુખ અબ્દુલ્લાશા પિરઝાદાના જણાવ્યા અનુસાર, હવામાન ખરાબ થતાં જ તમામ બોટોને સતર્ક કરી દેવામાં
આવી હતી. હાલ તમામ માછીમારો અને બોટો સલામત છે અને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી
માછીમારોને દરિયામાં ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.