ભુજ, તા. 15 : કચ્છ જિલ્લામાં લાંબા વિરામ
અને અછતના ઓછાયા વચ્ચે મેઘરાજાની કૃપાદૃષ્ટિ થતાં સરહદી પંથકમાં સચરાચર વરસાદ નોંધાયો
છે. ચાતકડોળે વરસાદની વાટ જોઈ રહેલા ધરતીપુત્રો અને માલધારીઓએ મેઘમહેરથી ભારે હાશકારો
અને આનંદ અનુભવ્યો છે. કચ્છની જીવાદોરી સમાન આ વરુણદેવની કૃપાથી સર્વત્ર ખુશાલી છવાઈ
જતાં આજે જિલ્લાના પ્રજાપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી,
ભુજ ખાતે હર્ષભેર એકત્ર થઈને મેઘરાજાનાં વધામણા કર્યાં હતાં. સાંસદ વિનોદભાઈ
ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા તથા કેશુભાઈ પટેલ સહિતના
વરિષ્ઠ પદાધિકારી તેમજ જિલ્લા કલેક્ટર અમિત રાણાવસિયા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના ઉચ્ચ અધિકારીઓને
મીઠું મોં કરાવીને શુભેચ્છા પાઠવી હતી અને આ નવજીવન સમાન વરસાદને આવકાર્યો હતો. પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, કચ્છમાં મેઘમહેરથી પીવાનાં પાણીની
સમસ્યા હલ થશે, સીમ-ખેતરો લીલાછમ બનશે અને પશુધન માટે ઘાસચારો ઉપલબ્ધ થશે. વરસાદી મહેરથી ખેડૂતોનાં મુખ
પર સ્મિત ફરી વળ્યું છે.