ભુજ, તા. 2 : `વરસાદ પડે ત્યાં જ, જ્યારે પડે ત્યારે જ, વરસાદના દરેક ટીપાને સાચવીએ.' આ એક સૂત્ર માત્ર નથી,
પરંતુ ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે. કેન્દ્ર
સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું `કેચ ધ રેઇન' અભિયાન આજે જળ સંરક્ષણની દિશામાં દેશવ્યાપી બની રહ્યું છે. અભિયાનનો મૂળભૂત હેતુ વરસાદી પાણીનો
મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવાનો, પાણીની અછત
ઘટાડવાની સાથે જળસંપત્તિનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાનનું સૂત્ર છે ઁચ ધ રેઇન એટલે કે વરસાદ જ્યાં પડે છે ત્યાં જ અને
જ્યારે પડે ત્યારે જ તેનું સંચય કરવામાં આવે. વરસાદી પાણીનો સંગ્રહ જેટલો સ્થાનિક સ્તરે
થશે, તેટલો તેનો લાભ લાંબા ગાળે મળશે. તેવું માહિતી ખાતાની એક
યાદીમાં જણાવાયું હતું. અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં વરસાદી
પાણીના સંચય માટે વિવિધ પ્રકારના માળખાકીય અને સામાજિક પ્રયાસો કરવામાં આવે છે. ચેકડેમ,
તળાવોની સફાઈ અને ઊંડાણ વધારવું, પરકોલેશન ટાંકા,
રિચાર્જ કૂવા, ફાર્મ પોન્ડ, પરંપરાગત જળાશયોનું પુનર્જીવન, રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિગ
અને નદી-નાળાઓનું સંવર્ધન જેવા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ અભિયાનમાં માત્ર
સરકારી વિભાગો જ નહીં પરંતુ ગ્રામ પંચાયતો, નગર-પાલિકાઓ,
શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક
સંસ્થાઓ, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોની ભાગીદારીને પણ સમાન મહત્વ
આપવામાં આવ્યું છે. ગુજરાતે પણ જળ સંરક્ષણ
ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. રાજ્યમાં વર્ષો દરમિયાન લાખો ઘનમીટર વરસાદી
પાણીના સંચય માટે ચેકડેમ, બોરીબંધ, ખેત
તળાવો, પરકોલેશન ટાંકા અને તળાવોના પુનર્જીવન જેવા અનેક કાર્યો
હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો નોંધાયો છે
અને કૃષિ માટે પાણીની ઉપલબ્ધતા વધી છે. `કેચ ધ રેઇન' અભિયાન આ પહેલોને વધુ વ્યાપક બનાવીને
ગામથી શહેર સુધી જળ સંરક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ આપી રહ્યું છે. આ માટે જળ સંચય અને
જળ સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ એકબીજાના પૂરક તરીકે કાર્ય
કરે છે. તેવું જણાવાયું હતું. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વોટરશેડ વિકાસ,
માટી અને જળ સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ અને
સિંચાઈ કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. `પ્રતિ ટીપે વધુ પાક'ની વિચારધારા પણ આ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે.
જલ જીવન મિશન અંતર્ગત દરેક ગ્રામિણ ઘરને નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાના લક્ષ્ય
સાથે પાણીના સ્ત્રોતોને ટકાઉ બનાવવા માટે વરસાદી પાણીના સંચયને પ્રોત્સાહન આપવામાં
આવે છે. અટલ ભૂજલ યોજના હેઠળ જળસંકટગ્રસ્ત
વિસ્તારોમાં ભૂગર્ભ જળના વૈજ્ઞાનિક સંચાલન, જળ બજાટિંગ અને સમુદાય
આધારિત આયોજન પર ભાર મૂકવામાં આવે છે.